ફિલ્મ જગત
News of Wednesday, 6th January 2021

દિગ્‍ગજ સંગીતકાર એ.આર. રહેમાનનો આજે જન્‍મદિનઃ તેઓ હિન્‍દુ પરિવારમાં જન્‍મ્‍યા બાદ ધર્મ બદલી નાખ્‍યો હતોઃ પહેલાનું નામ દિલીપકુમાર હતુ

અમદાવાદઃ તેમના સંગીતમાં એક અનોખી કશીશ છે જે શ્રોતાઓના દિલો-દિમાગને સૂકુન આપે છે. ગોલ્ડન ગ્લોબ, ઓસ્કાર, ગ્રેમી, ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવેલા એ.આર.રહમાનની સિદ્ધિઓ અને તેમના સંગીતનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. જોકે આજના એ.આર.રહમાન સફળતાના શિખર સુધી કંઈ કૂદકો મારીને પહોંચ્યા નથી. તેમણે જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે. અને સંઘર્ષની આગમાં તપીને તે કુંદન બનીને બહાર નીકળ્યા છે. અદભુત સંગીતકાર હોવાની સાથો-સાથ રહમાન એક ઉમદા વ્યક્તિ પણ છે. જે ક્યારેય કોઈ વિવાદમાં સપડાયા નથી. સફળતાની સાથો-સાથ તેમની સાદગી પણ લોકોને આકર્ષતી રહી છે.

ચેન્નઈમાં જન્મ થયો:

એ.આર.રહમાન એટલે અલ્લાહ રખા રહમાનનો જન્મ 6 જાન્યુઆરી 1966માં તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં થયો હતો. રહમાનને સંગીત પોતાના પિતાના વારસામાં મળ્યું છે. તેમના પિતા આર.કે.શેખર મલયાલી ફિલ્મોમાં શિક્ષણ આપતા હતા. સંગીતકારે સંગીતની શિક્ષા માસ્ટર ધનરાજ પાસેથી પ્રાપ્ત કરી. રહમાન જ્યારે 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું દેહાંત થઈ ગયું અને પૈસા માટે પરિવારના લોકોએ વાદ્યયંત્ર પણ વેચવું પડ્યું.

દિલીપ શેખરમાંથી બન્યા એ.આર.રહમાન:

એ.આર.રહમાન હિંદુ ધર્મમાં જન્મ્યા હતા. પરંતુ પછીથી તેમણે પોતાનો ધર્મ બદલી નાંખ્યો હતો. વર્ષ 1986માં પિતાના મૃત્યુ પછી તે કાદરી સાહેબના સંપર્કમાં આવ્યા હતા. અહીંયાથી તેમને સૂફી અંગે એક વિચાર આવ્યો. એ.આર.રહમાનની માતા પણ પીર સાથે આધ્યાત્મિક રીતે ઘણી નજીક હતી. પીરના પ્રભાવમાં આવ્યા પછી ધર્મ બદલ્યો અને દિલીપ કુમારમાંથી બની ગયા એ.આર.રહમાન. કમાલની વાત એ છે કે દિલીપ કુમાર ઉર્ફે એ.આર.રહમાનની પત્નીનું નામ સાયરા બાનો છે. અને જાણીતા અભિનેતા દિલીપ કુમારની પત્નીનું નામ પણ સાયરા બાનો જ  છે.

નામ બદલવાની છે અનોખી કહાની:

દિલીપ શેખરના પિતાનું લાંબી બીમારી બાદ અવસાન થયું. પરિવાર ખૂબ પરેશાન હતો. આર્થિક તંગી હતી. એક મુસ્લિમ પીરની પાસે પરિવાર જતો હતો. દિલીપની બહેન એક વખત બીમાર થઈ ગઈ. પરિવાર ફરી પીરની પાસે ગયો. પીર કાદરીએ જાણે કોઈ કરિશ્મા કર્યો. બહેન સારી થઈ ગઈ. આ તે જ દિવસ હતો, જ્યારે માતા કસ્તુરીએ નક્કી કર્યું કે તે ઈસ્લામ કબૂલ કરી લેશે. પરિવારે ઈસ્લામ કબૂલ કરી લીધો. રહમાન નામ દિલીપને પસંદ આવી ગયું. પરંતુ તેમણે અબ્દુલની જગ્યાએ તેને  અલ્લા રખા કરી દીધું. સવાલ એ છે કે શું તે દિવસને તેમની જન્મતિથી માનવામાં આવે?... કે 6 જાન્યુઆરી 1967ને જ્યારે તે શેખર અને કસ્તુરીના ઘરે જન્મ્યા હતા. તે પછી ત્રીજી તારીખ જેણે દુનિયાને એ.આર.રહમાન આપ્યા. તે તારીખ હતી 15 ઓગસ્ટ 1992.

બેન્ડ નેમેસિસ એવન્યુની સ્થાપના:

માત્ર 11 વર્ષની ઉંમરે પોતાના બાળપણના મિત્ર શિવમણિની સાથે રહમાન બેન્ડ રૂટ્સ માટે સિન્થેસાઈઝર વગાડવાનું કામ કરતા હતા. ચેન્નઈના બેન્ડ નેમેસિસ એવન્યૂની સ્થાપનામાં પણ રહમાનનું મહત્વનું યોગદાન રહ્યું. રહમાન પિયાનો, હારમોનિયમ, ગિટાર પણ વગાડી લેતા હતા.

એન્જિનિયર બનવા માગતા હતા એ.આર.રહમાન:

આખી દુનિયામાં પોતાના ગીતથી લાખો લોકોને દીવાના બનાવનારા રહમાન એક જમાનામાં એન્જિનિયર બનવા માગતા હતા. વર્ષ 1980માં એ.આર.રહમાન દૂરદર્શન પર આવતા એક શો વંડર બેલૂનમાં જોવા મળ્યા હતા. જ્યાં તે એક એવા છોકરાના રૂપમાં જાણીતા થયા જે એકસાથે ચાર કી-બોર્ડ વગાડી શકતો હતો. તે સમયે રહમાન માત્ર 13 વર્ષના હતા.

ટ્રિનિટી કોલેજમાંથી સ્કોલરશીપ મળી:

રહમાન સિન્થેસાઈઝરને કલા અને ટેકનિકનો અદભૂત સંગમ માને છે. બેન્ડ ગ્રૂપમાં કામ દરમિયાન રહમાનને લંડનની ટ્રિનિટી કોલેજમાંથી સ્કોલરશીપ મળી અને આ કોલેજમાંથી તેમણે પશ્વિમી શાસ્ત્રીય સંગીતમાં ટ્રેનિંગ લીધી.

પહેલી જ ફિલ્મમાં ફિલ્મફેર એવોર્ડ:

1991ના વર્ષમાં રહમાને પોતાનું મ્યુઝિક રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. 1992માં તેમને ફિલ્મ ડાયરેક્ટર મણિ રત્નમે રોજામાં સંગીતની તક આપી. ફિલ્મનું સંગીત જબરદસ્ત હિટ સાબિત થયું અને રાતોરાત રહમાન સુપરસ્ટાર બની ગયા. પહેલી જ ફિલ્મ માટે રહમાનને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો.

કમ્પ્યૂટર સંગીતને મેલોડી સાથે રહમાને જોડી:

1992થી લઈને અત્યાર સુધી સમજવામાં આવતું હતું કે આખરે રહમાનમાં ખાસ શું છે?. હકીકતમાં તે કમ્પ્યૂટર યુગના સંગીતકાર છે. તેમણે પોતાના સંગીતમાં ટેકનિકનો સહારો લીધો છે. પરંતુ તે મેલોડીને છોડી નહીં, જેના માટે ભારતીય સંગીત જાણીતું છે. તે રહમાનની સૌથી મોટી વિશેષતા છે. તેમની દરેક ધૂન જાણે ટ્રેડમાર્ક રહમાન લખેલું હોય છે.

કટ્ટરવાદીઓની નારાજગી છતાં વંદે માતરમનું આલ્બમ લાવ્યા:

રહમાન હિંદુ પરિવારમાં જન્મ્યા હતા. પિતા સંગીતકાર હતા. પરંતુ પિતાનું મૃત્યુ થયું ત્યારે રહમાન નવ વર્ષના હતા. ત્યાંથી બધું બદલાયું. રહમાને ઈન્ટરવ્યૂમાં પણ ઉલ્લેખ કર્યો છે કે પિતાના સ્વાસ્થ્ય દરમિયાન ઘરમાં પૂજા-પાઠ થતા હતા. દરેક ધર્મની મદદ લેવામાં આવી. ઈસ્લામની પણ. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. તેમણે અનેક જગ્યાએ કહ્યું છે કે ઈસ્લામમાં તેમને શાંતિ મળે છે. હકીકતમાં ઈસ્લામ શાંતિનો પ્રતીક છે. તેમ છતાં કટ્ટરવાદીઓની નારાજગીની વચ્ચે તેમણે વંદે માતરમને સૂર આપ્યો અને આલ્બમ લઈને આવ્યા.

વિશ્વના 10 સર્વશ્રેષ્ઠ સંગીતકારોમાંથી એક:

રહમાનના ગીતનું 200 કરોડથી પણ વધારે રેકોર્ડિંગ વેચાઈ ચૂક્યું છે. તે વિશ્વના 10 સર્વશ્રેષ્ઠ સંગીતકારોમાંથી એક છે. તે ઉમદા ગાયક પણ છે. દેશની આઝાદીના 50મા વર્ષે 1997માં બનાવવામાં આવેલ તેમનું આલ્બમ વંદે માતરમ અત્યંત સફળ રહ્યું. આ જોશીલા ગીતને સાંભળીને દેશભક્તિ મનમાં હિલોળા લેવા લાગે છે. વર્ષ 2002માં જ્યારે બીબીસી વર્લ્ડ સર્વિસે 7000 ગીતમાંથી અત્યાર સુધીના 10 સૌથી શ્રેષ્ઠ ગીતને પસંદ કરવાનું સર્વેક્ષણ કરવામાં આવ્યું તો વંદે માતરમને બીજું સ્થાન મળ્યું. સૌથી વધારે ભાષાઓમાં આ ગીતની પ્રસ્તુતિ આપવાના કારણે તના નામે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલો છે.

નોબલ પીસ પ્રાઈઝ કોન્સર્ટમાં પરફોર્મન્સ:

રહમાનના ગીત દિલ સે, ખ્વાજા મેરે ખ્વાજા, જય હો વગેરે ખૂબ જાણીતા છે. વર્ષ 2010માં રહમાન નોબલ પીસ પ્રાઈઝ કોન્સર્ટમાં પણ પરફોર્મન્સ આપી ચૂક્યા છે. બોમ્બે, રંગીલા, દિલ સે, તાલ, જીન્સ, પુકાર, ફિઝા, લગાન, સ્વદેશ, જોધા-અકબર, યુવરાજ, સ્લમડોગ મિલિયોનર અને મોંહે-જો-દારો દેવી અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું છે. વક્ષ 2004માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રહમાનને ટીબીને અટકાવવા માટે લોકોને જાગૃત કરવા માટે સદભાવના દૂત બનાવ્યા.

ગોલ્ડન ગ્લોબ, ઓસ્કર અને ગ્રેમી એવોર્ડ:

રહમાન એક સારા પતિ અને પિતા પણ છે. સંગીતકારના લગ્ન સાયબા બાનૂ સાથે થયા છે અને તેમના ત્રણ બાળક ખતીજા, રહીમા અને અમીન છે. વર્ષ 2000માં રહમાન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. ફિલ્મ સ્લમડોગ મિલિયોનર માટે તે ગોલ્ડન ગ્લોબ, ઓસ્કર અને ગ્રેમી જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. આ ફિલ્મનું ગીત જય હો દેશ-વિદેશમાં ખૂબ જાણીતું થયું. રહમાને અનેક સંગીત કાર્યક્રમમાં આ ગીતને પોતાનો અવાજ આપ્યો છે.

136 એવોર્ડ જીતનાર એકમાત્ર સંગીતકાર:

એ.આર.રહમાનનું દરેક ગીત ચાર્ટબુસ્ટર હોય છે અને અનેક દિવસો સુધી તે ટ્રેન્ડ કરે છે. રહમાનને અત્યાર સુધી 159 વખત એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જેમાંથી તે 136 વખત એવોર્ડ જીત્યા છે. 6 નેશનલ ફિલ્મ એવોર્ડ અને 15 ફિલ્મફેર એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. નવેમ્બર 2013માં કેનેડાના રાજ્ય ઓન્ટારિયાના માર્ખમમાં એક રસ્તાનું નામ અલ્લાહ રખા રહમાન કરી દેવામાં આવ્યું છે. તેમને અનેક વિશ્વ વિદ્યાલયમાંથી ડોક્ટરેટની પદવી પણ મળી ચૂકી છે.

સુરોના જાદુગરની હોલિવુડમાં કમાલ:

એ.આર.રહમાનના અનેક સાઉન્ડટ્રેક હોલિવુડ ફિલ્મોમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. રહમાનના જાણીતા ગીત છૈયા છૈયાને હોલિવુડ ફિલ્મ ઈનસાઈડ મેનમાં સામેલ કરાયું છે. સાથે જ બોમ્બના મ્યુઝિક ટ્રેકને ફિલ્મ ડિવાઈન ઈન્ટરનેશનલમાં ઉપયોગ કરવામાં આવ્યું હતું. તો મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની એરટેલની જાણીતી ધૂન પણ રહમાન દ્વારા જ બનાવવામાં આવી છે. તમે તે સાંભળીને હેરાન રહી જશો કે આ ધૂનને લગભગ 15 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

રાતના સમયે ગીતનું રેકોર્ડિંગ કરવાનું પસંદ છે:

રહમાન માટે સંગીતનો સમય રાતનો છે. એક કાર્યક્રમમાં અલ્કા યાજ્ઞિકે ફિલ્મ તાલનો કિસ્સો સંભળાવ્યો હતો કે કેવી રીતે તેમમએ પોતાનું ગીત તાલ સે તાલ મિલા રેકોર્ડ કર્યું. અલ્કા યાજ્ઞિક અને સુભાષ ઘાઈ ઘરે ચેન્નઈ ગયા હતા. તેમણે કહ્યું કે અમે આખો દિવસ હોટલમાં ખાલી બેસી રહ્યા. સુભાષજી સતત કહેતા રહ્યા તે કરશે ફોન. તે થોડું મોડેથી કામ શરૂ કરે છે. આખરે મોડી રાતે ફોન આવ્યો. સ્ટૂડિયો ગયા તો ત્યાં બહાર લોનમાં બેસાડવામાં આવ્યા. સતત ઈડલી, વડા,ડોસા આપવામાં આવ્યા. આખરે રાત્રે બે વાગે રેકોર્ડિંગ શરૂ થયું.

સિનિયરનું સન્માન કરતા હતા:

લતા મંગેશકર હંમેશા સવારે ગાવાનું પસંદ કરતા હતા. ફિલ્મ દિલ સે માં લતા મંગેશકરે પહેલીવાર રહમાન માટે ગીતને અવાજ આપ્યો. રહમાને સવારે ગીત રેકોર્ડ કર્યું. માત્ર એટલા માટે. કેમ કે લતાજી સવારે ગીતમાં કમ્ફર્ટેબલ હતા. માત્ર 40 મિનિટમાં જિયા જલે રેકોર્ડ થઈ ગયું. આ કિસ્સો દર્શાવે છે કે તેમને પોતાના મૂળિયા સાથે કેટલો લગાવ છે. તેમને ખબર હતી કે કોઈ સિનિયરનું સન્માન કેવી રીતે કરવું જોઈએ. ત્યારે જ તો દરેક વ્યક્તિ તેમની સાથે કામ કરવા ઈચ્છે છે. દરેક સિનિયરને તે સન્માન મળે છે. દરેક નવા ગાયકને રહમાનમાં આશા જોવા મળે છે. અને રહમાનને નવા ગાયકોમાં. આથી જ રહમાને જેટલા નવા લોકોને તક આપી છે. તેટલી જ કોઈએ આપી હશે.

(5:46 pm IST)