પ્રિયંકા ચોપરા અને નિક જોનસ રાજસ્થાનના આલીશાન મેહરાનગઢ કિલ્લામાં નવેમ્બરમાં લગ્નના બંધને બંધાશે
પ્રિયંકા ચોપરા અને નિક જોનસની સગાઈ બાદ તેમના લગ્નના વેન્યૂને અટકળોની ચર્ચા શરૂ થઈ ગઈ છે. નવી અપડેટ પ્રમાણે આ કપલ રાજસ્થાનના આલીશાન મેહરાનગઢ કિલ્લામાં લગ્નના બંધનમાં બંધાશે. રિપોર્ટ પ્રમાણે, આ કપલ નવેમ્બરમાં લગ્ન કરી શકે છે.
તાજેતરમાં જ નજીકના મિત્રના બર્થ ડે સેલિબ્રેશન માટે જોધપુર ગયેલા પ્રિયંકા-નિકે મેહરાનગઢ ફોર્ટની મુલાકાત લીધી હતી. બંનેએ લગ્નની શોપિંગ કરી છે તેવા પણ અહેવાલો છે. આ સિવાય આ ફોર્ટને તેમણે લગ્ન માટે બુક કરી લીધો છે તેમ પણ કહેવાઈ રહ્યું છે.
રાજસ્થાનનો મહેરાનગઢ કિલ્લો ફિલ્મ શૂટિંગ માટે મેકર્સનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ના ક્લાઈમેક્સનું શૂટિંગ થોડા સમય પહેલા આ જ કિલ્લામાં થયું છે. આ સિવાય ‘મણિકર્ણિકા’નું શૂટિંગ પણ અહીં કરવામાં આવ્યું છે.
મેહરાનગઢ કિલ્લો રાજસ્થાનના સૌથી મોટા કિલ્લાઓમાંથી એક છે. આ કિલ્લાનું નિર્માણ 1460માં રાવ જોધાએ કર્યું હતું. આ કિલ્લાનો પરિઘ 10 કિમી છે. આ કિલ્લાની ખાસ વાત એ છે કે, આ કિલ્લાની છત પર એક જ તોપ રાખવામાં આવી છે અને આ તોપની આસપાસ 6 કિમીનો સુરક્ષિત વિસ્તાર છે. કિલ્લાની અંદર મોતી મહેલ પણ છે. આ સિવાય ‘શ્રીનગર ચેકી’ નામનું જોધપુરનું સિંહાસન પણ છે. આ સિવાય છતમાં સોનાથી કારીગરી કરવામાં આવી છે. હોલિવુડ એક્ટ્રેસ લિઝ હર્લે 2007માં આ જ કિલ્લામાં લગ્ન કર્યા હતા.
પ્રિયંકા અને નિકના લગ્ન ઈંડિયન અને અમેરિકન બંને સ્ટાઈલથી પ્લાન કરવામાં આવી રહ્યા છે. પહેલા લગ્ન હિંદુ વિધિ પ્રમાણે થશે અને બાદમાં ક્રિશ્ચન વિધિથી લગ્ન થશે. પ્રિયંકા અને નિકની રોકા સેરેમની હિંદુ રિવાજોથી થઈ હતી. રોકા સેરેમનીમાં ભાગ લેવા માટે નિકના મમ્મી-પપ્પા ઈંડિયા આવ્યા હતા. દરમિયાન નિક જોનસે પૂજા પણ કરી હતી.