પાકિસ્તાનમાં બેન થાય એવા દ્રશ્ય નહીં ફિલ્મ ઉરીમાં:આદિત્ય
મુંબઈ: ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇકના સર્જક આદિત્ય ધરે કહ્યું હતું કે પાકિસ્તાને બૅન કરવી પડે એવું અમારી ફિલ્મમાં કશું જ નથી. પાકિસ્તાન વિરોધી એક શબ્દ પણ એમાં નથી.'૨૦૧૬ના સપ્ટેંબરમાં ઊરી વિસ્તારમાં રાત્રે આરામ કરી રહેલા ભારતીય લશ્કરના સત્તર જવાનોને પીઠ પાછળ ઘા કરીને આતંકવાદીઓએ હણી કાઢ્યા તેથી ભારતીય લશ્કરે આતંકવાદીઓ સામેની લડતના ભાગ રૃપે આતંકવાદી તાલીમ શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી એની કથા અમારી ફિલ્મમાં છે. અમે આતંકવાદને સાથ સહકાર આપતા નથી એવી દલીલ પાકિસ્તાન કાયમ કરે છે. તો પછી અમારી ફિલ્મ પર બૅંન જાહેર કરવાની જરૃર જ ન રહીને ? ' એવો પ્રતિપ્રશ્ન ધરે કર્યો હતો.મેઘના ગુલઝારની રાઝી ફિલ્મમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીનો રોલ કરનારો વીકી કૌશલ આ ફિલ્મમાં ભારતીય લશ્કરી અધિકારી તરીકે ચમકી રહ્યો છે જેના શિરે સર્જિકલ સ્ટ્રાઇકની જવાબદારી સોંપવામાં આવી છે.ધરે એવી દલીલ કરી હતી કે અમારી દ્રષ્ટિએ ફિલ્મ પર બૅન મૂકવો પડે એવું એમાં કશું નથી. પછી પાકિસ્તાનની મરજી ! અમે સમતુલા જાળવવાના ભરચક પ્રયાસો કર્યા છે. આતંકવાદ સામે અત્યારે આખી દુનિયામાં લડત ચાલી રહી છે. અમે પાકિસ્તાન વિરોધી કશું આડકતરી રીતે પણ મૂક્યું નથી.