પહેલા રામાયણ શો માટે ના કહી દીધી'તી
ચાર કલાકની મિટીંગ બાદ અખિલેન્દ્ર મિશ્રાએ સ્વીકાર્યો હતો રાવણનો રોલ
મુંબઇ તા. ૪: અભિનેતા હમેંશા જુદા જુદા કારણોસર ભુમિકાઓ નિભાવવાની ના કહી દેતાં હોય છે. પણ ઘણીવાર નસિબ તેના જીવનમાં મહત્વની ભુમિકા ભજવે છે. અખિલેન્દ્ર મિશ્રા કે જેણે આનંદ સાગરની સિરીયલ રામાયણમાં રાવણની ભુમિકા ભજવી હતી તેણે પોતાના અનુભવ રજુ કર્યા છે.
અખિલેન્દ્ર મિશ્રાએ પહેલી જ વખત જાહેર કર્યુ છે કે તેણે એક સમયે રામાયણ શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. તે કહે છે એ વખતે મારી ફિલ્મો દિલ્હી-૬, દ્રોણા અને ચામકુની શુટીંગ એક સાથે ચાલી રહી હતી. એ વખતે મને આનંદ સાગરની રામાયણમાં રાવણનો રોલ નિભાવવા માટે ફોન આવ્યો હતો. તારીખોની મુશ્કેલીઓ હોવાથી મેં ના કહી દીધી હતી. મારો ટ્રેક મોડેથી હતો એવું કહેવાયું હતું. છતાં મેં ના પાડી હતી.
પરંતુ ચેનલે કહ્યું રાવણની ભુમિકા તમારે જ ભજવવાની છે, આ માટે એક મિટીંગ કરવી જરૂરી છે. એ પછી મેં સમય કાઢી આનંદ સાગર સાથે બેઠક યોજી હતી. સતત ચાર કલાક સુધી ચાલેલી બેઠક પછી મેં રોલ માટે હા કહી હતી. આનંદ મને રાવણના રૂપમાં આ સિરીયલમાં જોવા ખુબ જ ઉત્સુક હતાં. તેમણે મારી બીજી તારીખોનો પણ ખ્યાલ રાખ્યો હતો. લાખો દર્શકો ફરી એક વખત દંગલ ચેનલ પર દરરોજ સાંજે સાડા સાતે અને સવારે સાડા નવે નિહાળી રહ્યા છે.