'વાદા રહા સનમ' ગીતથી પ્રખ્યાત થનારા બોલિવૂડ ગીતકાર અનવર સાગરનું નિધન
વિજય પથ અને યારાના જેવી પ્રતિષ્ઠિત ફિલ્મો માટે ગીતો પણ લખ્યા હતાં
મુંબઇ, તા.૪: બોલિવૂડના દિગ્ગજ ગીતકાર અનવર સાગરનું ૭૦ વર્ષની વયે અવસાન થયું. બુધવારે સાંજે તેમને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હજી સુધી તેના મોત પાછળનું કારણ જાણી શકાયું નથી. ઇન્ડિયન પરફોર્મિંગ રાઇટ સોસાયટી લિમિટેડે એક ટ્વીટ કરીને ગીતકારના અવસાન વિશે માહિતી આપી હતી અને તેમને શ્રદ્ઘાંજલિ આપી હતી.
ઇન્ડિયન પરફોર્મિંગ રાઇટ સોસાયટી લિમિટેડએ એક ટ્વીટમાં લખ્યું છેઃ 'અનુભવી ગીતકાર અને આઈપીઆરએસના સભ્ય, અનવર સાગરજીનું આજે નિધન થયું. તેઓ 'વાદા રહા સનમ' જેવા ગીતો લખવા માટે જાણીતા છે. તેઓ વિજય પથ અને યારાના જેવી પ્રતિષ્ઠિત ફિલ્મો માટે ગીતો પણ લખ્યા હતાં. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થના તેમના પરિવાર સાથે છે તેમના આત્માને શાંતિ મળે.
ઉલ્લેખનીય છે કે અનવર સાગરે અક્ષય કુમાર અને આયેશા ઝુલકાની ફિલ્મ ખિલાડીમાં વાદા રહા સનમ અને અજય દેવગન તેમજ તબ્બૂ સ્ટારરર વિજયપથ અને યારાના જેવી ફિલ્મો માટે પણ ગીત લખ્યા હતા. પરંતુ તેમણે સૌથી વધારે ઓળખ ત્યારે મળી હતી જયારે તેમણે વાદા રહા સનમ ગીત લખ્યું હતું. ૯૦ના દશકમાંજ નહીં પરંતુ હાલ પણ લોકોને આ ગીત ખૂબ પસંદ છે. આ ગીત સૌથી લોકપ્રિય ગીત તરીકે ઓળખવામાં આવે છે.(૨૩.૭)