ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર બાદ સોનાલી બેન્દ્રેને કિમોથેરાપીના કારણે દ્રષ્ટિ ઉપર અસર થઇ હતી
એક્ટ્રેસ સોનાલી બેન્દ્ર હાલ ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહી છે. આ દરમિયાન તે પોતાના દરેક અનુભવો ફેન્સ સાથે શેર કરે છે. હાલમાં જ સોનાલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એ વખતનો અનુભવ શેર કર્યો જ્યારે તે ખૂબ ડરી ગઈ હતી. કીમોથેરપી લીધા બાદનો આ અનુભવ સોનાલી માટે દુઃખદ રહ્યો.
‘જોવામાં પડતી હતી તકલીફ’
સોનાલીએ લખ્યું કે, “નવા પુસ્તક વિશે જણાવવાનો સમય થઈ ગયો છે. આ પહેલા જે બુક વાંચતી હતી તેને પૂરી કરવામાં ઘણો સમય લાગ્યો કારણકે કીમો બાદ મારી દ્રષ્ટિ પર અસર થઈ હતી. આંખો પર થયેલી અસર અને જોવામાં પડતી તકલીફના કારણે હું ડરી ગઈ હતી. જો કે બાદમાં બધું બરાબર થઈ ગયું.”
નવી બુક
કેન્સર પીડિત એક્ટ્રેસે આગળ પુસ્તક વિશે જણાવ્યું કે, “હવે હું જે બુક વાંચવાની શરૂ કરવાની છું તે આ શહેર સાથે જોડાયેલી છે. જ્યાં હાલ હું છું…ન્યૂયોર્ક. બુકનું નામ અ લિટલ લાઈફ છે. જેને હાન્યા યાનાગિહારાએ લખી છે. આ બુકને ઘણાં અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ વાર્તા મિત્રતા અને મહત્વકાંક્ષાની છે. અત્યાર સુધી ફિમેલ ફ્રેન્ડશીપ વિશે વાંચ્યું છે પણ હવે છોકરાઓની દોસ્તી વિશે વાંચવા જઈ રહી છું. આશા છે કે તમે લોકો પણ આ બુક વાંચશો.”
‘સોનાલીની રિકવરી ઝડપી’
જણાવી દઈએ કે તાજેતરમાં જ એક્ટ્રેસ નમ્રતા શિરોડકરે જણાવ્યું હતું કે, સોનાલીની તબિયત ઝડપથી સુધરી રહી છે. સોનાલી ડિસેમ્બરમાં ભારત આવી શકે છે. જો કે સોનાલીના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.