ફિલ્મ જગત
News of Wednesday, 3rd March 2021

આમિર ખાને મહત્વાકાંક્ષી વેબ સિરીઝ 'મહાભારત' બનાવવાનું માંડી વાળ્યું

તાંડવ સિરીઝનો ઉભો થયેલો વિવાદ કારણભુત હોવાની ચર્ચાઃ જો કે આમિરે સ્પષ્ટ કારણ જાહેર ન કર્યુઃ હાલમાં આમિર ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના કામમાં સતત વ્યસ્ત

મુંબઇઃ અભિનેતા આમિર ખાન ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાને લઇને ચર્ચામાં છે. દરમિયાન આમિરે પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેકટ એટલે કે 'મહાભારત' પર બનનારી વેબ સિરીઝ બનાવવાનું માંડી વાળ્યું છે. આમિર ખાન શા માટે આ સિરીઝ નહિ બનાવે તેનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે કે તાંડવ સિરીઝને લઇને જે વિવાદ ઉભો થયો છે અને આ સિરીઝ ઓટીટી પર રજૂ કરનારા એક સિનીયરને સતત હેરાનગતિ થઇ રહી હોઇ તેના કારણે આમિર ખાન અને ઓટીટી પ્લેટફોર્મ દ્વારા હવે મહાભારત પર સિરીઝ નહિ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

આમિર ખાનના મહત્વપુર્ણ પ્રોજેકટ પૈકી મહાભારત પરની વેબ સિરીઝ પણ ખુબ ખાસ હતી. તેણે આ માટે અનેક તૈયારીઓ કરી લીધી હતી. પોતે તેમાં શ્રીકૃષ્ણનો રોલ નિભાવવાનો હતો. આમિરે મહાભારત વિશેની અનેક વખત અગાઉ થયેલી વાતચીતમાં પોતાનું પ્રિય પાત્ર કર્ણ હોવાનું અવાર-નવાર કહ્યું હતું. આમિરની મહાભારતમાં દિપીકાને દ્રોૈપદીનો રોલ અપાશે તેવી પણ ચર્ચા હતી.

(3:47 pm IST)