'અય્યારી' સેન્સર બોર્ડમાં અટવાઈ
મુંબઈ:ટોચના ફિલ્મ સર્જક નીરજ પાંડેની ફિલ્મ ઐયારી નવમી ફેબુ્રઆરીએ રજૂ કરવાની જાહેરાત ફિલ્મ સર્જક કરી ચૂક્યા છે પરંતુ હજુ આ ફિલ્મને સેન્સરનું સર્ટિફિકેટ મળ્યું નથી એવી માહિતી મળી હતી. અગાઉ આ ફિલ્મ જાન્યુઆરીમાં રજૂ થવાની વાત હતી.પરંતુ એે સમયે સંજય લીલા ભણસાલીની પદ્માવત અને અક્ષય કુમારની પેડમેન રજૂ થવાની હતી એટલે નીરજે પોતાની ફિલ્મની રિલિઝ ડેટ બદલાવી હતી. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને મનોજ બાજપેયી ચમકી રહ્યા છે. લેટેસ્ટ માહિતી મુજબ ભારતીય લશ્કરની ભીતરની કેટલીક વાતો જુદી રીતે ફિલ્મમાં વણી લેવામાં આવી છે એટલે કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડ તોળી તોળીને પગલાં ભરે છે. સંજય લીલા ભણસાલીની પદ્માવતના મુદ્દે થયેલા વિવાદના પગલે સંસદીય સમિતિએ સેન્સર ચીફ અને પ્રસિદ્ધ ગીતકાર પ્રસૂન જોશીને પણ પોતાની સમક્ષ તેડાવ્યા હતા. જો કે પછી ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.