આમિર ખાને કર્યા સુવર્ણ મંદિરના દર્શનઃ પચાસ મિનીટ સુધી કિર્તન પણ સાંભળ્યા
અમૃતસરઃ બોલીવૂડનો મિસ્ટર પરફેકશનનિસ્ટ આમિર ખાન હાલ ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પંજાબી યુવાનની ભૂમિકા નિભાવી રહ્યો છે. હાલમાં ફિલ્મનું શુટીંગ પણ પંજાબમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં આમિર ખાન શુટીંગમાંથી સમય કાઢીને સુવર્ણ મંદિર પહોંચ્યો હતો અને અહિ માથુ ટેકવી દર્શન કર્યા હતાં. શિરોમણી ગુરૂદ્વારા મેનેજમેન્ટ સમિતી (એસજીપીસી)ના અધિકારીના કહેવા મુજબ આમિરખાન લગભગ પચાસ મિનીટ સુધી સુવર્ણ મંદિરના ગર્ભગૃહમાં બેસી રહ્યા હતાં અને કિર્તન સાંભળ્યા હતાં. આમિરખાને પોતે આ ભુમિકા ભજવી પોતાની જાતને સન્માનિત અનુભવી રહ્યાનું કહ્યું હતું. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના તહેવારમાં રિલીઝ થશે. ચોપન વર્ષિય અભિનેતા આમિર ખાનનું એસજીપીસીના મુખ્ય કાર્યાલય ખાતે શાલ અને ધાર્મિક પુસ્તકોથી સન્માન પણ કરાયું હતું.