ફિલ્મ જગત
News of Monday, 2nd November 2020

ગુજ્જુભાઈ હવે બનશે રાજુભાઈ ઢોકળાવાળા

ફિલ્મમાં સંજય ગોરડિયા પણ પહેલી જ વખત તેમની સાથે જોવા મળશે

મુંબઇ, તા.૨: ગુજ્જુભાઈ સિરીઝનાં પાંચથી વધુ નાટક અને બે ફિલ્મ પછી હવે સિદ્ઘાર્થ રાંદેરિયાની નવી ફિલ્મમાં તેઓ ગુજ્જુભાઈની નહીં, ઢોકળાવાળાની ભૂમિકામાં જોવા મળશે અને ફિલ્મનું ટાઇટલ પણ એ જ છે, 'રાજુભાઈ ઢોકળાવાળા.'

વિપુલ મહેતા દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ હજી હમણાં જ ગુજરાતમાં પૂરું થયું. ફિલ્મમાં સિદ્ઘાર્થ રાંદેરિયા લીડ કેરેકટર કરે છે, તો તેમની સાથે સુપ્રિયા પાઠક અને વંદના પાઠક પણ છે તથા 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં ટપુ બનીને તહેલકા મચાવી દેનારો ભવ્ય ગાંધી તેમ જ 'હેલ્લારો'માટે નેશનલ એવોર્ડ જીતનારી શ્રદ્ઘા ડાંગર પણ છે.

મજાની વાત એ છે કે આ ફિલ્મમાં સિદ્ઘાર્થ રાંદેરિયા અને સંજય ગોરડિયા વર્ષો પછી સાથે અને ફિલ્મમાં પહેલી વાર સાથે જોવા મળશે. આ અગાઉ સંજય ગોરડિયા અને સિદ્ઘાર્થ રાંદેરિયા ૮૦ના દસકામાં બનેલા નાટક 'ભાઈ'માં સાથે જોવા મળ્યા હતા, એ પછી બન્નેને સાથે જોવાનો લહાવો ઓડિયન્સને પહેલી વાર મળશે.

(10:23 am IST)