Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

શાહરુખ ખાન સાથે મારે સારી એવી આત્મીયતા છે: અનુષ્કા શર્મા

મુંબઈ:મોખરાની અભિનેત્રી કમ ફિલ્મ સર્જક અનુષ્કા શર્માએ કહ્યું હતું કે આજે તો શાહરુખ ખાન સાથે મારે સારી એવી આત્મીયતા છે. કારકિર્દી શરૃ કરી ત્યારે હું શાહરુખથી અંજાઇ અને ડરી ગઇ હતી એમ કહું તો ચાલે. ૨૦૦૮માં શાહરુખ ખાન સાથે ફરાહ ખાનની રબ ને બના દી જોડી ફિલ્મથી અનુષ્કાએ અભિનય કારકિર્દી શરૃ કરી હતી. ૨૦૧૭માં એણે ફરી એકવાર શાહરુખ ખાન સાથે ઇમ્તિયાઝ અલીની જબ હેરી મેટ સેજલ ફિલ્મ કરી હતી. એ ફિલ્મને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિસાદ મળ્યો નહોતો. હાલ અનુષ્કાએ શાહરુખ સાથે આનંદ એલ રાયની ઝીરો ફિલ્મ કરી છે. આ ફિલ્મ ડિસેંબરમાં રજૂ થવાની છે. એણે કહ્યું કે અત્યારે તો હંુ શાહરુખ ખાન સાથે જરાય ડિસ્કમ્ફર્ટ અનુભવતી નથી. એ સમય હવે વીતી ચૂક્યો છે. 'મારા જીવનમાં શાહરુખ ખાનનો બહુ મોટો મહિમા છે. મારી પહેલી ફિલ્મ વખતે એણે મારા પ્રત્યે સારી એવી સહાનુભૂતિ રાખીને મને કામ કરવા દીધું હતું. મારી અકળામણ એ સમજી શકતો હતો કારણ કે એણે પણ સંઘર્ષના દિવસોમાં મારા જેવો જ અનુભવ કર્યો હતો. એણે જરાય એવું લાગવા દીધું નહોતું કે એ સુપર સ્ટાર છે. એ સાવ સહજ રીતે મારી સાથે વર્તતો હતો. એ લાગણી હું ભૂલી શકું તેમ નથી' એમ અનુષ્કાએે કહ્યું હતું. હાલ અનુષ્કાની યશ રાજની ફિલ્મ સુઇ ધાગા રજૂ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં એણે વરુણ ધવન સાથે કામ કર્યું છે અને એક નાનકડા નગરની ભરતગૂંથણ દ્વારા આજીવિકા રળતી મહિલાનો રોલ કર્યો છે.

(5:16 pm IST)