Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના પ્રોડયુસર અસિત મોદીનો ખુલાસોઃ દિશા વાકાણીના પાત્રમાં નવા દયાબેનની શોધ કરી રહ્યા છીએ

ફેન્‍સ અને દર્શકોને જુના દયાબેનની કમી મહેસુસ ન થવા દઇએ તે માટે જલ્‍દી નવા દયાબેન મળી જશેઃ અસિત મોદી

મુંબઇઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અનેક વર્ષોથી ટીવી પર આવતો લોકપ્રિય શો છે અને આજે પણ લોકો આ શોના દીવાના છે. આ શોના તમામ કલાકારોની પોતાની એક તગડી ફેન ફોલોઈંગ છે.  પરંતુ સિરિયલમાં સૌથી વધુ લોકપ્રિય કલાકારોની વાત કરીએ તો દયાબેનનું નામ કદાચ સૌથી ઉપર લેવામાં આવતું હશે. જેઠાલાલની પત્ની દયાબેનનું પાત્ર દિશા વાકાણીએ ભજવ્યું હતું. જો કે તેણે શો વર્ષો પહેલા છોડી દીધો. આજે પણ દિશા વાકાણીને તેના દમદાર અભિનય બદલ યાદ કરવામાં આવે છે અને ફેન્સને આશા છે કે તે કદાચ સિરિયલમાં પાછી ફરશે. દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા  ચશ્મામાં વાપસી કરી રહી છે, શું અભિનેત્રી અને પ્રોડ્યુસર વચ્ચે તમામ મુદ્દે સહમતિ બની ગઈ છે? આ સવાલોના જવાબ હાલમાં જ પ્રોડ્યુસર અસિત મોદીએ આપ્યા....

શું દયાબેન પાછા ફરશે?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં જ પોતાના શોના ફેવરિટ પાત્ર દયાબેન અંગે ફેન્સના સવાલોના જવાબ આપ્યા છે. અસિત મોદીએ કહ્યું કે દયાબેન એટલે કે દિશા વાકાણી શોમાં પાછા ફરે એ ફક્ત ફેન્સની જ નહીં પરંતુ તેમની પણ ઈચ્છા છે. પરંતુ એવું થઈ રહ્યું નથી કારણ કે દિશા તેના બે બાળકો અને પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે. પ્રોડ્યુસરનું કહેવું છે કે આવામાં તેઓ તેને ફોર્સ કરી શકે નહીં.

અસિત મોદીનો ખુલાસો

અસિત મોદીએ એક ન્યૂઝ ચેનલ સાથે થયેલી વાતચીતમાં એ પણ જણાવ્યું કે તેઓ એક નવા દયાબેનની શોધ કરી રહ્યા છે અને તેમને દિશાને રિપ્લેસ કરવાનો કોઈ ડર નથી. અસિત મોદીએ કહ્યું કે આ પાત્રને રિપ્લેસ કરવું સરળ નથી અને એટલે જ તેના માટે આટલો સમય લાગી રહ્યો છે. તેઓ ઈચ્છે છે કે જે પણ દયાબેનની જગ્યા લે, તે પરફેક્ટ હોય અને ફેન્સને જૂના દયાબેનની કમી મહેસૂસ ન થવા દે. અસિત મોદીને આશા છે કે તેમને શો માટે જલદી નવા 'દયાબેન' મળી જશે.

(5:52 pm IST)