Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ફિલ્મ 'રુસ્તમ'માં નૌસેનાનો યુનિફોર્મ હરાજી કરશે અક્ષય કુમાર

મુંબઇ: અભિનેતા અક્ષય કુમાર પોતે હિટ ફિલ્મ રુસ્તમમાં પહેરેલો ભારતીય નૌકાદળના અધિકારીના પોષાકનું લીલામ કરશે અને એમાંથી જે આવક રળશે ચેરિટી પાછળ વાપરશે એવી જાણકારી મળી હતી. ૧૯૬૦ના દાયકામાં ચકચાર જગાડનારા નાણાવટી આહુજા ખૂન કેસની સત્યઘટના પર આધારિત ફિલ્મમાં અક્ષય કુમારે નૌકાદળના કમાન્ડર નાણાવટીનો રોલ કર્યો હતો. માટે એણે ખાસ ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારી તરીકેનો ગણવેશ તૈયાર કરાવ્યો હતો જે હજુ એની પાસે છે. હવે તો સૌ કોઇ જાણે છે કે અક્ષય નક્સલવાદીઓ સાથે લડતાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારોને કે મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં આપઘાત કરતા ખેડૂતોના પરિવારોને મદદ કરતો રહ્યો છે. એને લઇને વચ્ચે એવી વાતો પણ વહેતી થઇ હતી કે અક્ષય પોલિટિક્સમાં જોડાવાનો છે. જો કે અક્ષયે વાતને રદિયો આપ્યો હતો. રુસ્તમના પોષાકનું લીલામ કરતાં જે આવક થશે પશુપંખીના કલ્યાણ માટે વાપરવામાં આવશે એવી માહિતી અક્ષયની નિકટનાં સૂત્રોએ આપી હતી. રુસ્તમના રોલ માટે અક્ષય કુમારને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
 

(4:06 pm IST)