Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ફિલ્‍મ અભિનેતા વિક્રમ ગોખલેના નિધનની અફવા સોશ્‍યલ મીડિયામાં વાયરલઃ વિક્રમ ગોખલેની તબિયત નાજુક છે તેમનું નિધન થયુ નથીઃ પુત્રીએ ખુલાસો કર્યો

અભિનેતાની તબિયત બગડતા હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા

મુંબઇઃ અગ્નિપથ ફિલ્‍મમાં ગાયતુંડેની ભૂમિકા ભજવનાર અભિનેતા વિક્રમ ગોખલેના નિધનની અફવા વાયુવેગે સોશ્‍યલ મીડિયામાં વાયરલ થઇ છે. તેમની પુત્રી અને પત્‍નીએ ખુલાસો કર્યો કે, તેઓને હોસ્‍પિટલમાં નાજુક તબિયતને લઇ દાખલ કરાયા છે.

અમિતાભનું અગ્નિપથ મૂવી તમને બધાને યાદ જ હશે. આ ફિલ્મમાં એક સમયે ગૂંડાઓ જ્યારે અમિતાભને મારવા માંગતા હોય છે ત્યારે ગાયતૂંડે સાહેબે તેને સામેથી પોલીસ સ્ટેશનમાં બોલાવીને આ પ્લાનિંગ અંગે જાણ કરી હતી. ફિલ્મનો આ સીન આજે વર્ષો બાદ પણ એટલો જ ફેમસ છે. જેમાં ગાયતૂંડે સાહેબ કહે છે...વિજય તૂમ નહીં સુધરોગેં...ત્યારે વિજય દિનાનાથની ભૂમિકા ભજવી રહેલાં અમિતાભ બચ્ચન કહે છેકે, કાહો કો સુધરનેકા, યે દુનિયા બહોત બિગડી હુઈ હૈ....યહાં પર જિંદા રહેને કે લિયે બિગડા હુઆ હોના બહોત જરૂરી હૈ...ગાયતૂંડે સાહેબ....

પીઢ અભિનેતા વિક્રમ ગોખલેના નિધનને લઈને મીડિયામાં ચાલી રહેલા સમાચારોને તેમની પુત્રીએ નકારી કાઢ્યા છે. વિક્રમ ગોખલેની પુત્રીએ કહ્યું છે કે અભિનેતા વિક્રમ ગોખલેની હાલત હજુ પણ નાજુક છે અને તેમનું નિધન થયું નથી. તેમણે લોકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિનંતી કરી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે વિક્રમ ગોખલેની પુત્રીએ પુષ્ટિ કરી છે, ‘અભિનેતા વિક્રમ ગોખલેની સ્થિતિ હજુ પણ નાજુક છે, તેમનું નિધન થયું નથી. તેમના સાજા થવા માટે પ્રાર્થના કરો.

બુધવારે મોડી સાંજે હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેના નિધનના સમાચાર સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ ગયા હતા, જેના પર તેમની પત્ની વૃષાલી ગોખલેએ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે તે હજી જીવિત છે. અભિનેતા વિક્રમ ગોખલેની તબિયત બગડતાં તેમને અહીંની એક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમની હાલત અત્યંત ગંભીર છે. અભિનેતાની તબિયતને લઈને ગુરુવારે સવારે એક નિવેદન જારી કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

 ઉલ્લેખનીય છે કે, 77 વર્ષીય અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ તેમની સ્થિતિ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ગોખલે પરિવારે મીડિયા રિપોર્ટ્સમાં તેમના મૃત્યુના સમાચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. અભિનેતા ગોખલેએ ઘણી મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં 1990ની અમિતાભ બચ્ચન અભિનીત “અગ્નિપથ” અને સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત “હમ દિલ દે ચૂકે સનમ” (1999)નો સમાવેશ થાય છે. તેમની નવી મરાઠી ફિલ્મ ‘ગોદાવરી’ હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે.

(6:13 pm IST)