Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

દયાભાભીની ભૂમિકા માટે અમી ત્રિવેદીનો સંપર્ક

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભી હવે પાછા ફરવાના નથીઃ પાપડ પોલ.. ફેઈમ અમી ત્રિવેદી બનશે દયાભાભી ?

મુંબઈ, તા. ૨૪ :. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દિશા વાકાણી એટલે કે દયાભાભી પાછા ફરવાના નથી. આ સંજોગોમાં નવા દયાભાભીની શોધખોળ થઈ રહી છે. દિશા વાકાણી સપ્ટે. ૨૦૧૭થી શોમાં દેખાયા નથી. મળતી માહિતી મુજબ હવે મેકર્સે દયાબેનની ભૂમિકા માટે પાપડ પોલ... ફેઈમ અભિનેત્રી અમી ત્રિવેદીનો સંપર્ક સાધ્યો છે.

જો કે અમી ત્રિવેદી આવા અહેવાલોને નકારી કાઢે છે પરંતુ ટાઈમ્સે પોતાના વર્તુળોને ટાંકીને લખ્યુ છે કે દિશા વાંકાણીની જગ્યાએ અમી ત્રિવેદીનુ નામ લગભગ પાકુ છે. જો કે અમીનું કહેવુ છે કે મારો સંપર્ક સધાયો નથી પરંતુ મારા મિત્રો કહે છે કે મારે આ ભૂમિકા કરવી જોઈએ. દયાબેનનું પાત્ર મને માફક આવે તેમ છે. હજુ સુધી મને રોલ ઓફર થયો નથી.

જ્યારે અમીને પૂછાયુ કે શું તમારો સંપર્ક કરવામાં આવે તો તમે દયાબેનની ભૂમિકા ભજવશો ? તો જવાબમાં અમીએ કહ્યુ હતુ કે આ એક મોટી જવાબદારી હશે. કોઈપણ કલાકાર માટે દિશા વાંકાણીની ભૂમિકા મુશ્કેલ રહેશે. મને ખાત્રી છે કે જે પણ અભિનેત્રી દિશાનું સ્થાન લેશે તેણે શરૂઆતમાં ટીકા સહન કરવી પડશે કારણ કે દિશા ૧૦ વર્ષમાં આ શોમાં જોડાયેલી હતી. લોકો તેમને પ્રેમ કરે છે.

(11:45 am IST)