Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સારાની ડેબ્યુ ફિલ્મને નવા નિર્માતા મળ્યા છે : રિપોર્ટ

નિર્માતા તરીકે જવાબદારી સ્ક્રુવાલાએ સંભાળી : સ્ક્રુવાલા આ ફિલ્મના પૈસા જુના નિર્માતા ભુષણ કુમાર, પ્રેરણા અરોડા અને એકતા કપુરને આપી રહ્યા છે : રિપોર્ટ

મુંબઇ,તા. ૨૩ : સારા ખાનની ડેબ્યુ ફિલ્મ કેદારનાથનુ શુટિંગ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યુ છે. જો કે શુટિંગના ગાળા દરમિયાન નિર્દેશક અભિષેક કપુર અને નિર્માતા પ્રેરણા અરોજા વચ્ચે વિવાદના કારણે આ ફિલ્મના શુટિંગને અધવચ્ચે રોકી દેવાની ફરજ પડી હતી. હવે આ ફિલ્મને બચાવી લેવા માટે એક નવા નિર્માતા સપાટી પર આવી રહ્યા છે. એવુ જાણવા મળ્યુ છે કે આ ફિલ્મ નિર્માતા રોની સ્ક્રુવાલા હવે પોતાના હાથમાં લઇ રહ્યા છે. રોની સ્ક્રુવાલા આ ફિલ્મની સંપૂર્ણ રકમ જુના નિર્માતા ભુષણ કુમાર, પ્રેરણા અરોડા અને એકતા કપુરને આપી રહ્યા છે. હવે આ મહિનાના અંત સુધી ફિલ્મ પર ફરી એકવાર કામ શરૂ કરવામાં આવનાર છે. સુત્રોએ કહ્યુ છે કે જ્યારે રોનીએ ફિલ્મના ફોટોજ નિહાળ્યા ત્યારે તેમને ખુબ પસંદ પડ્યા હતા. જેથી રોનીએ પોતાના હાથમાં આ ફિલ્મ લેવાની જાહેરાત કરી દીધી છે. મળેલી માહિતી મુજબ રોની સ્ક્રુવાલાએ ભુષણ કુમાર અને પ્રેરણાને ૧૪-૧૪ કરોડ રૂપિયા આપી દીધા છે. જ્યારે એકતા કપુરને આઠ કરોડ રૂપિયા પાછા આપી દીધા છે. હવે આ ફિલ્મ સંપૂર્ણ રીતે રોની અને અભિષેકના હાથમાં હોવાના હેવાલ મળી રહ્યા છે. બન્ને પોતાની રીતે હવે આ ફિલ્મને નવી દિશા આપી શકે છે. બીજી બાજુ રોનીએ અહેવાલને સમર્થન આપતા કહ્યુ છે કે કેદારનાથ એક ખુબ સારી લવ સ્ટોરી ફિલ્મ છે. જે વર્ષ ૨૦૧૩ના પુર બાદની વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મને આગામી વર્ષે શરૂઆત સુધી પૂર્ણ કરી લેવામાં આવનાર છે. ફિલ્મને વર્ષના અંત સુધી રજૂ કરવાની યોજના હતી પરંતુ હવે આગામી વર્ષે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને સુશાંત અને સારા ભારે આશાવાદી છે.

(12:45 pm IST)