Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

દયાભાભી તારક મહેતા કા... સીરીયલમાં હવે નહિ દેખાય

મુંબઇ તા. ૨૩ : સબ ટીવીના પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દર્શકો લાંબા સમયથી દયા બહેન પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે. છેલ્લાં ઘણાં લાંબા સમયથી એવા સમાચાર આવી રહ્યા હતા કે દયા બહેન આ શોમાં પરત ફરશે પણ હવે જે સમાચાર જાણવા મળ્યા છે તે ખૂબ જ નિરાશાજનક છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હવે દયા બહેનનો રોલ ભજવનાર દિશા વાકાણી જોવા નહીં મળે.

તારક મહેતા શોમાં દયા બહેનનું પોપ્યુલર પાત્ર ભજવનાર એકટ્રેસ દિશા વાકાણી છેલ્લાં દોઢ વર્ષથી વેકેશન પર હતી. વર્ષ ૨૦૧૭માં દિશા વાકાણીએ પુત્રી સ્તુતિને જન્મ આપ્યો. પુત્રીના જન્મબાદ દિશા વાકાણી આ શોથી દૂર હતી. દિશા વાકાણીએ વર્ષ ૨૦૧૫માં મુંબઈના ચાર્ટ્ડ અકાઉન્ટન્ટ મયૂર પડિયાની સાથે લગ્ન કર્યા હતા. દિશા વાકાણી છેલ્લાં ૧૦ વર્ષથી તારક મહેતા સાથે જોડાયેલી છે.

કેટલાંક દિવસો પહેલાં એવા ન્યૂઝ પણ આવ્યા હતા કે દિશાએ તેની ફીમાં વધારો કર્યો છે. મેટરનિટી લીવ પર ગયા પહેલા દિશા વાકાણી આ તારક મહેતા શોના દરેક એપિસોડ માટે ૧.૨૫ લાખ રૂપિયા ચાર્જ કરતી હતી પણ હવે તે એક એપિસોડનાં ૧.૫૦ લાખ રૂપિયા ચાર્જ કરશે તેવી પણ વાત હતી. આ શોના મેકર્સ કોઈ પણ કિંમત પર દિશા વાકાણીને તારક મહેતામાં પરત લાવવા માગતા હતા. પરંતુ, હજુ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના મેકર્સે એવી કોઈ ઓફિશિયલ ઘોષણા કરી નથી કે દયા બહેન ઉર્ફે દિશા વાકાણી આ શોમાં જોવા મળશે નહીં.

 

(5:18 pm IST)