Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

'ઘરોંદા' અને 'ચિત્તચોર' જેવી ફિલ્મોની અભિનેત્રી ઝરીના વહાબને કોરોના

મુંબઈ,તા.૨૨: 'ઘરોંદા' અને 'ચિત્તચોર' જેવી ફિલ્મ્સમાં અભિનયના અજવાળા પાથરનાર પીઢ અભિનેત્રી ઝરીના વહાબને ગયા અઠવાડિયે ૫ દિવસ માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ ૬૧ વર્ષીય પીઢ અભિનેત્રીનું કોવિડ-૧૯ પરીક્ષણ પોઝિટિવ આવ્યું હતું. જેમાં ગંભીર લક્ષણો પણ હતા.

પીઢ એકટ્રેસને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. હોસ્પિટલ મેનેજમેન્ટે એકટ્રેસને ઓકિસજન પર મૂકયા હતાં અને વેન્ટિલેટરની જરુરિયાત ઉભી થાય એ પહેલા તો તેમણે પ્રતિભાવ આપ્યો હતો. જોકે, ઝરીના વહાબ જયારે ટ્રીટમેન્ટ લઈ રહ્યાં હતાં ત્યારે હોસ્પિટલમાં તેમના અંગત દોસ્તો તેમજ પરિવારના સભ્યો સિવાય કોઈને પણ અનુમતિ નહોતી.

ડોકટર જલીલ પારકરની દેખરેખમાં ઝરીના વહાબની સારવાર ચાલી રહી હતી. જયારે તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પુષ્ટિ કરી હતી કે પીઢ એકટ્રેસને કોરોનાની અસર છે અને તેમણે કહ્યું હતું કે,'ઝરીના સાંધાનો દુઃખાવો, શરીરમાં દુઃખાવો તેમજ તાવ હતો. આ ઉપરાંત તેમના શરીરનું ઓકિસજન લેવલ પણ ખૂબ જ ઓછું હતું.'

જોકે, હાલ સુધી એ જાણમાં નથી કે તેમના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે કે નહીં પરંતુ તેમણે ઘર પર જ સેલ્ફ આઈસોલેશન પસંદ કર્યું છે. ડોકટર જલીલ પારકરે જણાવ્યું હતું કે, 'તેઓ ઘરે જ છે અને હાલ તેમની સ્થિતિ પણ સારી છે.'

નોંધનીય છે કે બોલિવૂડના અનેક ફેમસ સેલેબ્સ જેવા કે, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, જેનેલિયા ડિસોઝા, જોઆ મોરાની, કિરણ કુમાર, પૂરબ કોહલી, કનિકા કપૂર વગેરે જેવા સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂકયાં છે.

(11:49 am IST)