Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

હું આજે બાલા સાહેબના લીધે જીવિત છું: અમિતાભ બચ્ચન

મુંબઈ:નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ ‘ઠાકરે’એ પોતાની રીલીઝ પહેલા જ ધમાકો મચાવી દીધો છે. શિવસેના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરેનાં જીવન પર બનેલી આ ફિલ્મમાં તેમની જિંદગી સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ દર્શાવવામાં આવશે. બોલીવુડ સાથે પણ બાલા સાહેબનો નાતો રહ્યો છે. તેઓ ઘણીવાર એક્ટર્સની પાર્ટીમાં જોવા મળતા હતા. અમિતાભ બચ્ચને પણ બાલા સાહેબ સાથેનાં સંબંધને લઇને ખુલાસો કર્યો છે. અમિતાભ બચ્ચને કહ્યું કે, “હું આજે બાલા સાહેબનાં કારણે જીવતો છું.”અમિતાભ બચ્ચને જણાવ્યું કે, “કુલીનાં શૂટિંગ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલત એટલી ખરાબ હતી કે તેમને તરત જ હૉસ્પિટલ લઇ જવાનાં હતા. તે દિવસે મુંબઈનું વાતાવરણ ખરાબ હતુ, જેના કારણે એમ્બ્યુલન્સ તેમના સુધી પહોંચી શકતી નહોતી. એ વખતે તેમની મદદ શિવસેનાની એમ્બ્યુલન્સે કરી હતી જેણે બાલ ઠાકરેએ ઉપલબ્ધ કરાવી હતી.” અમિતાભ બચ્ચને કહ્યું કે, “બાલ ઠાકરેએ મારી ત્યારે મદદ કરી જ્યારે મારે સૌથી વધારે જરૂર હતી. જો તે વખતે તેમણે મારી મદદ ના કરી હોત તો આજે હું જીવતો ના હોત.”બીગ બીએ જણાવ્યું કે, “બાલ ઠાકરે મારી બહુ જ નજીક હતા અને હું તેમની ઘણી જ ઇજ્જત કરતો હતો.’ બાલ ઠાકરે જયા બચ્ચનને પોતાની દીકરી માનતા હતા. અમિતાભ બચ્ચને તેમની અને બાલા ઠાકરેની દોસ્તીનાં ઘણા કિસ્સાઓ કહ્યા હતા. બાલા ઠાકરેનાં સંબંધો બોલીવુડ સ્ટાર્સ સાથે ઘણા સારા રહ્યા. ઉલ્લેખનીય છે કે ફિલ્મનું ટ્રેલર રીલીઝ થતા જ વિવાદોમાં છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીનાં રોજ રીલીઝ થઈ રહી છે.

(4:37 pm IST)