Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

કમલ હાસનની ફિલ્‍મ ‘ઇન્‍ડિયન-2'ના સેટ ઉપર થયેલ દુર્ઘટનામાં અભિનેત્રી કાજલ અગ્રવાલ માંડ-માંડ બચી

નવી દિલ્હીઃ જાણીતા ફિલ્મ અભિનેતા કમલ હસનની ફિલ્મ 'ઈન્ડિયન-2'ના સેટ પર થયેલી દુર્ઘટનામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હકીકતમાં, ચેન્નઈની ઈવીપી ફિલ્મમાં ડાયરેક્ટર શંકરની આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ક્રેન પડવાથી મધુ (ડાયરેક્ટર શંકરના પર્સનલ ડાયરેક્ટર), કૃષ્ણા (આસિસ્ટન્ટ ડાયરેક્ટર) અને એક સ્ટાફર ચંદ્રને જીવ ગુમાવ્યા હતા. જ્યારે 10 લોકોને ઈજા થઈ, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

ફિલ્મ 'ઈન્ડિયન 2'ના સેટ પર દુર્ઘટના દરમિયાન અભિનેત્રી કાજલ અગ્રવાલ ઘટના સ્થળ પર હાજર હતી અને માંડ-માંડ બચી છે. તેણે ભાગીને પોતાને બચાવી પરંતુ તે હજુ શોકમાં છે. કાજલ અહ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કર્યાં છે. 'પાછલી રાતે તે ભયાનક ક્રેન અકસ્માત બાદ શોક અને ટ્રોમામાં છું. દુર્ઘટનામાંથી જીવતી બચી રહેવામાં બસ એક સેકેન્ડનો સમય લાગ્યો. તે એક ક્ષણ. આભારી છું. સમય અને જિંદગીના મહત્વથી ઘણું બધુ શીખી અને તેનું સન્માન કરુ છું.'

અભિનેત્રીએ બીજા ટ્વીટમાં લખ્યું, પાછલી રાત્રે અમારા સાથીઓને આ રીતે ગુમાવવાનું જે દુખ થયું છે તેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકું. કૃષ્ણા, ચંદ્રન અને મધુ. તમારા પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે. ઈશ્વર આ સમયે તેમને શક્તિ આપે.

મહત્વનું છે કે ફિલ્મ 'ઈન્ડિયન 2'ના અભિનેતા કમલ હસન પણ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી દુખ વ્યક્ત કરી ચુક્યા છે. આ સિવાય દુર્ઘટનાની જાણ થતાં ઘણા સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. આ દુર્ઘટનાથી સિનેમા દર્શકોને મોટો ધક્કો લાગ્યો છે.

(4:34 pm IST)