Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

મને કોઈપણ કારણ વગર ફિલ્મમાંથી આઉટ કરી દેતા દુઃખ થયું: તાપસી પન્નુ

મુંબઇ: લિસ્ટની ગણાતી થઇ ગયેલી અભિનેત્રી તાપસી પન્નુએ ફરિયાદના સૂરે કહ્યું હતું કે મને સંજીવ કુમારની સુપરહિટ કોમેડી ફિલ્મ પતિ પત્ની ઔર વો માટે લેવાની જાહેરાત કર્યા બાદ કોઇ કારણ આપ્યા વિના પડતી મૂકવામાં આવી હતી.'પહેલાં મારો સંપર્ક સાધીને મને એક રોલ કરવાની ઑફર મૂકવામાં આવી હતી. ત્યારબાદ થોડા સમય પછી મને મિડિયા દ્વારા ખબર પડી કે ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડેને લેવામાં આવી છે. મેં તરત નિર્માતાઓનો સંપર્ક સાધ્યો હતો પરંતુ મને સ્પષ્ટ જવાબ આપતા નહોતા. કોઇ દેખીતા કારણ વિના મને પડતી મૂકવામાં આવી એનો મને અફસોસ છે' એમ તાપસીએ કહ્યું હતું.તેણે ઉમેર્યું કે મને શા માટે પડતી મૂકવામાં આવી એની પણ ઔપચારિક જાણ કરવાની તસ્દી લોકોએ લીધી નથી. પડતી મૂકે એનો વાંધો નથી પરંતુ સંબંધિત વ્યક્તિને એની જાણ તો કરવી જોઇએ એમ હું માનું છું. મને તો મિડિયા રિપોર્ટ દ્વારા જાણ થઇ કે મારે બદલે બીજી બે હીરોઇનોને લેવામાં આવી હતી.બીજી બાજુ પતિ પત્ની ઔર વોની રિમેકના સર્જકોની દલીલ એવી હતી કે અમે માત્ર તાપસીનો નહીં પરંતુ સ્ક્રીપ્ટને ધ્યાનમાં રાખીને બીજી અભિનેત્રીઓનો પણ સંપર્ક સાધ્યો હતો. તાપસીને કોઇ વચન આપ્યું નહોતું કે એને લેવાની દરખાસ્ત પણ મૂકી નહોતી. અમે માત્ર એક શક્યતાની ચર્ચા એની સાથે કરી હતી. અમે એનેજ સાઇન કરવાના છીએ એવી કોઇ વાત પણ થઇ નહોતી એટલે એની ફરિયાદ વાજબી નથી.

 

(6:12 pm IST)