Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

‘તારક મહેતા'ના ચાહકો માટે માઠા સમાચાર : સૌથી મજબૂત પાત્ર શૈલેષ લોઢાએ ૧૪ વર્ષ બાદ શો છોડયો ?

શૂટિંગ બંધ કરી દીધું

મુંબઇ તા. ૧૭ : તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા એ સોનીની સબ ચેનલ પર આવતો લોકપ્રિય શો છે. છેલ્લા ૧૪ વર્ષથી આ શો લોકોને ભરપૂર મનોરંજન કરાવી રહ્યો છે. શોના કલાકારોએ પણ દર્શકોના હૃદયમાં એક ખાસ જગ્‍યા બનાવી છે. પરંતુ હવે એક એવા ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે જે જાણીને દર્શકોને મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે આ શોના એક મહત્‍વના કલાકારના શો છોડવાના રિપોર્ટ્‍સ આવી રહ્યા છે.

એવું સાંભળવામાં આવી રહ્યું છે કે તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા શોમાં તારક મહેતાની ભૂમિકા  ભજવતા લીડ  કલાકાર શૈલેષ લોઢા આ શો છોડી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્‍સ મુજબ દયાબેન ઉર્ફે દિશા વાકાણી બાદ હવે શૈલેષ લોઢા લગભગ ૧૪ વર્ષ બાદ આ શોમાંથી વિદાય લેશે. એટલું જ નહીં રિપોર્ટ્‍સનું જો માનીએ તો શૈલેષ લોઢા ઘણા સમયથી આ ટીવી શો માટે શુટિંગ પણ કરી રહ્યા નથી. તેમને શુટિંગ બંધ કર્યાને લગભગ એક મહિના જેટલો સમય થયો છે. એમ પણ વાતો વહેતી થઈ છે કે તેઓ આ શોમાં પાછા ફરવાના મૂડમાં નથી.

ઈટાઈમ્‍સના એક રિપોર્ટ મુજબ નીકટના સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે શૈલેષ લોઢાએ આ શોને ટાટા બાયાબાય કરી દીધુ છે. શૈલેષ લોઢાનું પાત્ર સિરિયલમાં ખુબ દમદાર છે. અને લોઢાએ પણ આ ભૂમિકામાં જીવ રેડી દીધો હતો. તેઓ શોમાં દિલિપ જોશી એટલે કે જેઠાલાલના મિત્ર તારક મહેતાની ભૂમિકા ભજવતા હતા. શો સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્‍યાં મુજબ શૈલેષ લોઢાએ આ શો ડેટ્‍સનો યોગ્‍ય રીતે ઉપયોગ ન થવાના કારણે છોડવાનું મન બનાવ્‍યું છે. એટલું જ નહીં તેઓ તેમના કોન્‍ટ્રાક્‍ટના કારણ પણ નારાજ હોવાનું કહેવાય છે. જેના કારણે તેમણે અનેક પ્રોજેક્‍ટ્‍સ પણ છોડવા પડ્‍યા. હવે તેઓ તેમને મળી રહેલી બીજી તક છોડવા માંગતા નહતા. આથી આ શોથી અંતર જાળવી લીધુ છે.

અત્રે ખાસ જણાવવાનું કે તાજેતરમાં જ શૈલેષ લોઢા અને જેઠાલાલ એટલે કે દિલિપ જોશી વચ્‍ચે તારક મહેતાના સેટ પર ઝઘડાની વાતો ઉડી હતી. એવી વાતો વહેતી થઈ હતી કે બંને વચ્‍ચે મતભેદ ઊભા થયા છે અને વાતચીત સુદ્ધા બંધ છે. જો કે શૈલેષ લોઢાએ એક ઈન્‍ટરવ્‍યુમાં આવી ખબરો ફગાવી હતી. તેમણે કહ્યું હતું કે દિલિપી જોશી અને તે સારા મિત્ર છે અને તેઓ દુઆ કરે છે તેમના વચ્‍ચે ક્‍યારેય ઝઘડો થાય નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે સેટ પર તેઓ બંને એકબીજાના બેસ્‍ટ બડી છે. હવે આ સમગ્ર મામલે સાચુ ખોટું શું છે તે તો આવનારો સમય જ કહેશે. જો કે શૈલેષ લોઢાએ શો છોડ્‍યો છે કે નહીં તે મામલે સૂત્રો દ્વારા હાલ તો પુષ્ટિ થઈ નથી પરંતુ મીડિયામાં જે રીતે વાતો થઈ રહી છે તે મુજબ શૈલેષ લોઢાએ શો છોડ્‍યો છે.

(11:07 am IST)