Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

કોરોના વાયરસથી ડર્યું બોલીવુડ

અક્ષયની ફિલ્મ સૂર્યવંશી હાલ નહીં થાય રિલીઝ

નવી દિલ્હી તા. ૧૩ : બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. ફિલ્મ ૨૪ માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ હવે ફિલ્મની રિલીઝ ટાળી દેવામાં આવી છે. ફિલ્મના મુખ્ય અભિનેતા અક્ષય કુમારે ટ્વીટ કરીને ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવાનો નિર્ણય લીધો છે.

અક્ષય કુમારે ટ્વીટ કર્યું, 'અમે વર્ષભરની મહેનત બાદ સૂર્યવંશી તમારા લોકો માટે બનાવી હતી. ટ્રેલરને જે પ્રકારે દર્શકોનો પ્રેમ મળ્યો છે, તેનાથી સ્પષ્ટ છે કે ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરશે. અમે ફિલ્મને તમારી સમક્ષ રજૂ કરવા માટે આતુર છીએ. કોરોના વાયરસને જોતા અમે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવાનો નિર્ણય લીધો છે. અમારા દર્શકોનું સ્વાસ્થ્ય પ્રાથમિકતા છે. યોગ્ય સમય પર સૂર્યવંશી રિલીઝ કરવામાં આવશે.'

અક્ષય કુમાર અને કેટરીના કેફ સ્ટારર ફિલ્મ સૂર્યવંશીને આ સિઝનની સૌથી બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે. અક્ષય, કેટરીના અને રોહિત શેટ્ટીએ જોર-શોરથી આ ફિલ્મનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આ પહેલા ફિલ્મને રજૂ કરનાર રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના ગ્રુપ સીઈઓ શિબાશીષ સરકારે પણ કહ્યું હતું કે, તે કોરોના વાયરસના ખતરાને લઈને સતર્ક છે અને જરૂર પડી તો ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી શકાય છે.

(10:33 am IST)