Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

આવી દુઃખની ઘડીમાં પણ લોકો કેટલા નિર્દયી હોઇ શકે છે તે જોવા મળ્યું: એક સેલ્ફી માટે લોકોએ મોતનો મલાજો પણ ન જાળવ્યોઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડો. હાથીની અંતિમવિધિમાં બબીતાજીનો ગુસ્સો સાતમા આસમાને

મુંબઇઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડો. હાથીનું અવસાન થયા બાદ તેમની અંતિમવિધીમાં આવેલ બબીતાજી સાથે સેલ્ફી પાડવા માટે લોકોએ પ્રયાસ કરતા બબીતાજીએ બળાપો ઠાલવ્યો હતો.

મુનમુન એટલે કે બબીતાજીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બળાપો કાઢતાં લખ્યું કે,”જ્યારે અમે હાથીભાઈના અંતિમ સંસ્કાર પહેલા તેમના ઘરે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા ત્યારે ત્યાં લોકોનું વર્તન જોઈને મને આઘાત લાગ્યો. આંટી-અંકલ હોય કે જુવાનિયાઓ તમામ પોતાના ફોનમાં અમારા વીડિયો લઈ રહ્યા હતા, ફોટો ખેંચી રહ્યા હતા અને અમારી સાથે સેલ્ફી લેવાની કોશિશ કરતા હતા.

મુનમુને લખ્યું કે, “આવી દુઃખની ઘડીમાં પણ લોકો કેટલા નિર્દયી હોઈ શકે છે તે જોવા મળ્યું. એક સેલ્ફી માટે લોકોએ મોતનો મલાજો પણ ન જાળવ્યો. સેલ્ફી પણ એટલા માટે લેવી હતી કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકો, વ્હોટ્સએપ પર ફોરવર્ડ કરી શકો અને બીજા સામે એક્ટર સાથે સેલ્ફી લીધાની બડાઈઓ હાંકી શકો. આવા દુઃખના પ્રસંગોએ સામાન્ય લોકો દુઃખમાં ભાગીદાર થવા નહીં પરંતુ સેલિબ્રિટીઝ સાથે તસવીરો લેવા અને તેમને જોવા આવે છે.

મુનમુને લખ્યું કે, “સેલ્ફી લેવા માટે મારા ચહેરા આગળ ફોન ધરી રહેલા બે લોકોને મેં ખખડાવ્યા. આસપાસની બિલ્ડિંગના લોકો અમને જોઈને હસી રહ્યા હતા અને અમારી તસવીરો લઈ રહ્યા હતા. તેમના ચહેરા પર મને કોઈ દુઃખ કે આદરભાવ ન જોવા મળ્યો. એટલે જ કોઈપણ પ્રકારનો તમાશો થાય તે પહેલાં હું એ સ્થળેથી નીકળી ગઈ.

(5:48 pm IST)