Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અભિનેતા રણબીર કપૂર અને ડિરેક્‍ટર સંજય લીલા ભણસાલીને કોરોનાઃ જુગ-જુગ જીયો અને ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્‍મનું શુટીંગ અટક્‍યુ

મુંબઈ: બૉલિવૂડ અભિનેતા રણબીર કપૂરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રણબીર કપૂર કોરોનાથી સંક્રમિત થઈ જતાં તેને હાલ ઘરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. રણબીર કપૂરની માતા નીતૂ સિંહે થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે કે, રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

દિલ્હીથી શૂટિંગ પતાવીને મુંબઈ પરત ફર્યો રણબીર

તાજેતરમાં રણબીર કપૂર એક જાહેરખબરના શૂટિંગ માટે દિલ્હી ગયો હતો. જ્યાં શુટિંગ પતાવીને તે મુંબઈ પરત ફર્યો હતો. મુંબઈ આવ્યા બાદ પણ રણબીર તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે એક એડવર્ટાઈસમેન્ટનું શૂટિંગ કર્યું છે. જે બાદ રણબીરને જાણ થઈ કે, તે કોરોનાથી સંક્રમિત છે અને તેણે ખુદને ક્વોરન્ટાઈન કરી લીધો છે.

જણાવી દઈએ કે, રણબીરની પહેલા તેની માતા નીતૂ કપૂરને પણ કોરોના થઈ ચૂક્યો છે. નીતૂ પોતાની અપકમિંગ ફિલ્મ જુગ-જુગ જિયોના શૂટિંગ માટે ચંદીગઢ ગઈ હતી. શૂટિંગ દરમિયાન જ તે કોરોનાથી સંક્રમિત થઈ ચૂકી હતી.

હાલ કપૂર ખાનદાન માટે ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે. જ્યાં 30 એપ્રિલ 2020ના રોજ રણબીર કપૂરના પિતા ઋષિ કપૂરનું કેન્સરની બીમારીના કારણે અવસાન થઈ ગયું હતું. જ્યારે 9 ફેબ્રુઆરી 2021ના રોજ રણબીર કપૂરના કાકા રાજીવ કપૂરનું પણ હાર્ટ એટેકથી નિધન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડના અનેક સેલેબ્સ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં મહાનાયક અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. બૉલિવૂડના બિગ-બી સાથે તેમનો પુત્ર અભિષેક બચ્ચન, એશ્ચર્યા રાય અને પૌત્રી આરાધ્યા બચ્ચન પણ કોરોનાનો શિકાર બન્યા હતા. જ્યારે અર્જુન કપૂર, મલાઈકા અરોરા, વરુણ ધવન, કૃતિ સેનન, કનિકા કપૂર અને સંગીતકાર વાજિદ ખાનને પણ કોરોના થયો હતો. જો કે વાજિદ ખાનનું સારવાર દરમિયાન અવસાન થયુ હતું.

આ સિવાય હાલ બોલિવૂડના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. જેના પગલે તેમની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.

(5:37 pm IST)