Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

આમિર ખાન, આલિયા ભટ્ટ, ટ્વિન્કલ ખન્ના જેવા સેલિબ્રિટી સ્‍વાર્થી છેઃ કંગના રનૌતનો આક્ષેપ

નવી દિલ્હી : બોલિવૂડની ક્વિન કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાએ 100 કરોડની ક્લબની એન્ટ્રી કરી લીધી છે. કંગના અને એની ટીમ આ સફળતાનું સેલિબ્રેશન કરી રહી છે. આ ફિલ્મને સારી એવી સફળતા મળ્યા છતાં કંગનાના મનમાં એક વસવસો રહી ગયો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વંશવાદનો વિરોધ કરનારી કંગના તેની જાતને બોલિવૂડમાં આઉટસાઇડર માને છે. તેની ફરિયાદ છે કે તે બોલિવૂડમાં કોઈ ગ્રુપનો હિસ્સો ન હોવાના કારણે તેની ફિલ્મ મણિકર્ણિકા સફળ થઈ હોવા છતાં કોઈ સ્ટારે પ્રતિક્રિયા નથી આપી.

કંગનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે આમિર ખાન, આલિયા ભટ્ટ અને ટ્વિન્કલ ખન્ના જેવા સેલિબ્રિટી સ્વાર્થી છે. કંગનાએ કહ્યું હતું કે આલિયા મને તેની ફિલ્મ રાઝીનું ટ્રેલર મોકલ્યું હતું અને મને એ જોવાની વિનંતી કરી હતી. ટ્રેલર જોયા પછી મેં મેઘના ગુલઝાર અને આલિયાને ફોન પણ કર્યો હતો. મારા માટે એ આલિયા કે કરણ જોહરની ફિલ્મ નહીં પણ સહમત ખાન નામની દેશ પર કુરબાન થનાર છોકરીની સ્ટોરી હતી. જોકે મારી ફિલ્મ વિશે કોઈએ બે શબ્દ પણ નથી ક્હ્યા. તેમને ડર છે કે જો તેવું કરશે તો કંગનાની ફિલ્મ કદાચ વધારે હિટ થઈ જશે.

કંગનાએ આમિર ખાન અને ટ્વિન્કલ ખન્નાને પણ ટાર્ગેટ કર્યા છે. તેણે કહ્યું છેકે આમિર ખાને દંગલ દરમિયાન મને કોલ કર્યો હતો. મારા માટે આ ફિલ્મ મહિલા સશક્તિકરણની ફિલ્મ હતી. કંગનાએ ટ્વિન્કલ ખન્ના માટે કહ્યું છે કે મહિલા સશક્તિકરણ પર કલાકો સુધી કામ કરનાર લોકો હવે મણિકર્ણિકા જેવી આ વિષયની ફિલ્મ વિશે ચુપકિદી સાધી રહ્યા છે.

(5:33 pm IST)