Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

'કુમકુમ' ફેમ જુહી પરમારના લગ્નના ૯ વર્ષ બાદ થયા છૂટાછેડા

ટીવી કપલ હવે કાનૂની રીતે થયુ અલગ : લાંબા સમયથી વિવાદ હતા

મુંબઇ તા. ૬ : ટીવી સિરીયલ 'કુમકુમ' ફેમ જુહી પરમાર અને એકટર સચિન શ્રોફના અંતે તલાક થઇ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, લાંબા સમયથી બંનેનો તલાક કેસ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો હતો. બંનેના આપસી સહમતિથી તલાક થયા છે. લગ્નના ૯ વર્ષ બાદ આ ટીવી કપલ હવે કાનૂની રીતે અલગ થયું છે. ખબર એવી પણ છે કે, જૂહી પરમારે સચિન સાથે કોઈ એલિમનીની માંગ કરી નથી. સચિન અને જુહીની પુત્રી સમાયરા જૂહીની સાથે રહેશે.

તલાક લેવાના નિર્ણય પર વાત કરતા એક ઇન્ટરવ્યૂમાં જૂહીએ જણાવ્યું હતું કે, તેના લગ્નના પ્રથમ દિવસ જ કંઈ ઠીક હતું નહિ. બંને પોત-પોતાની રીતે આ લગ્નજીવન બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. જૂહીએ આગળ કહ્યું કે, મારા અને સચિનની વચ્ચે ઘણા વિવાદ હતા. અમે બંને કોઈપણ મામલે એક જેવું વિચારતા નથી. અમારી રાય દરેક મામલે અલગ છે. બે લોકોની વચ્ચે અનબન માટે જવાબદાર કયારેય કોઈ એક વ્યકિત ના હોય.

તમને જણાવી દઈએ કે, જૂહી અને તેના પતિ સચિન ટેલીવિઝન દુનિયાના ફેમસ કપલમાંથી એક છે. આ બંનેની ફેંસ ફોલોવિંગ પણ ઘણી સારી છે પરંતુ જયારથી આ બંનેના અલગ થવાના ન્યૂઝ સામે આવ્યા છે, ત્યારથી આ બંનેના ફેંસ વચ્ચે નિરાશા ફેલાઈ ગઈ છે.

જૂહી અને સચિનના ફેંસને વિશ્વાસ થઇ રહ્યો નથી કે, ટીવીનું આ કયુટ કપલ કયારેય પણ અલગ થઇ શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બંને છેલ્લા એક વર્ષથી એકબીજાથી અલગ રહે છે. થોડા વર્ષોથી આ બંને વચ્ચે કંઈ ઠીક નથી. જેના કારણે આ બંને અલગ રહે છે. હવે આ બંને કાયમી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ બંને તેમના મેરેજના ૯વર્ષ પછી અલગ થઇ રહ્યા છે.

જૂહી પરમાર અને સચિન શ્રોફ ફેબ્રુઆરી ૨૦૦૯ માં લગ્નગ્રંથીથી જોડાયા હતા. તેમને ચાર વર્ષની પુત્રી પણ છે અને તેનું નામ સમાયરા છે. જૂહી અને સચિન વચ્ચે અનબન છે તેવી ખબર સૌ પ્રથમ ૨૦૧૧ માં આવી હતી પરંતુ તે સમયે આ કપલે આ ખબરની કોઈ સ્પષ્ટતા કરી હતી નહિ.

(6:22 pm IST)