Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્‍દ્રસિંહ ધોનીના જીવન ઉપર આધારિત બીજી ફિલ્મ સિક્વલના રૂપમાં બનાવાશેઃ ધોનીના રોલમાં સુશાંતસિંહ રાજપૂત દેખાશે

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્‍ટન મહેન્‍દ્રસિંહ ધોનીના જીવન ઉપર આધારીત સિક્લવ ફિલ્મ બનાવવામાં આવશે.

2 વર્ષ પહેલા ધોનીના જીવન પર બનેલી એમ એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરીની હવે સિક્વલ પણ બનશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સિક્વલમાં ધોનીની કેપ્ટનશિપમાં ધોનીની વર્લ્ડકપ 2011 બાદની જર્ની દેખાડવામાં આવશે.

આ ફિલ્મમાં પણ ધોનીના રોલમાં સુશાંત સિંહ રાજપૂત દેખાશે. પ્રથમ ફિલ્મમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી અને આ ફિલ્મ તેના કરિયરની સૌથી મોટી હિટ સાબિત થઈ હતી. ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડેએ કર્યું હતું.

આ સીક્વલમાં ધોનીના ક્રિકેટ કરિયર ઉપરાંત તેની પર્સનલ લાઈફ વિશે પણ જણાવવામાં આવશે. ફિલ્મમાં ધોનીની કેપ્ટનશિપમાં IPLમાં ચેન્નઈ સુપરકિંગ્સની ચેમ્પિયન બનવા સુધીની સફર બતાવવામાં આવશે. આ ઉપરાંત 2015માં ભારતીય ટીમની સેમીફાઈનલ સુધીની સફર પણ દેખાડવામાં આવશે.

જણાવી દઈએ કે, ‘એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ 2016માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સુશાંત સિંહ, દિશા પટની, કિયારા અડવાણી અને અનુપમ ખેરને મુખ્ય ભૂમિકામાં દર્શાવાયા હતા. આ ફિલ્મે બોક્સ ઑફિસ પર ખૂબ સારો દેખાવ કર્યો હતો.

જણાવી દઈએ કે, ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ICCના ત્રણેય મોટા ટાઈટલ્સ જીત્યા છે. 2007માં ભારતે પ્રથમ વર્લ્ડ ટી20માં ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો હતો. બાદમાં 2011માં ભારતે વન-ડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીના ખિતાબ જીત્યા હતા. આ ઉપરાંત ધોનીની કેપ્ટનશિપમાં ભારત ટેસ્ટ રેંકિન્કમાં પણ નંબર 1 ટીમ બની હતી.

(6:08 pm IST)