News of Monday, 3rd September 2018
મુંબઈ:ટીવીનાં ઇતિહાસમાં એવા ઘણા એક્ટર્સ છે જેમણે કૃષ્ણ બનીને આ પાત્રને જીવંત કરી દીધું હતુ. આ સીરિયલ દ્વારા દર્શકોએ પણ કૃષ્ણને ઘણો પ્રેમ આપ્યો. કેટલાક એક્ટર્સ તો એવા રહ્યા કે વાસ્તવિક જિંદગીમાં લોકો તેમને ભગવાન સમજીને પૂજા કરવા લાગ્યા હતા. જન્માષ્ટમી પહેલા આવો જાણીએ એવા કલાકારો વિશે જેમણે પડદા પર કૃષ્ણનો રોલ કર્યો હોય.
નીતીશ ભારદ્વાજ:કૃષ્ણ કહેતા જ પહેલું નામ હોઠ પર આવે છે તે છે નીતીશ ભારદ્વાજ. 90નાં દશકમાં 23 વર્ષની ઉંમરમાં નીતીશે બીઆર ચોપરાની ‘મહાભારત’માં કૃષ્ણની ભૂમિકા નિભાવી હતી. તેમણે પોતાની ભૂમિકા એટલી સુંદર રીતે નિભાવી કે લોકો તેમને વાસ્તવિક જિંદગીમાં ભગવાન માનવા લાગ્યા હતા અને જ્યાં પણ જતા લોકો તેના પગે લાગતા હતા. નીતીશ ભારદ્વાજ વાસ્તવિક જિંદગીમાં જાનવરોનાં ડૉક્ટર છે. તેઓ મરાઠી સિનેમાનો પણ જાણીતો ચહેરો છે. ફિલ્મો અને ટીવીમાં ખાસ સફળતા ના મળતી જોઇને તેમણે રાજનીતિમાં ઝંપલાવ્યુ અને બીજેપી તરફથી લોકસભા સદસ્ય બન્યા.
સર્વદમન ડી બેનર્જી:રામાનંદ સાગરનાં ‘કૃષ્ણા’માં સર્વદમન ડી બેનર્જીએ મુખ્ય પાત્ર નિભાવ્યું હતુ. નીતીશ ભારદ્વાજની જેમ તેમને પણ આ પાત્રમાં લોકોએ ઘણા જ પસંદ કર્યા. પોતાના આ પાત્રથી સર્વદમન બેનર્જીને ઘણી લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ તેમને આ પ્રકારનાં ઘણા શોની ઑફર મળી, જેમકે ‘અર્જુન’, ‘જય ગંગા મૈયા’ અને ‘ઓમ નમ: શિવાય’. આ બધા શોમાં સર્વદમન ડી બેનર્જીએ જ ભગવાન શ્રીકૃષ્ણનો રોલ કર્યો હતો.
સ્વપ્નિલ જોષી: કૉમેડીથી લઇને અલગ અલગ રીતનાં પાત્ર નિભાવનાર સ્વપ્નિલ જોષી ‘કૃષ્ણા’માં કૃષ્ણ બન્યો હતો. આજે પણ સ્વપ્નિલને નાના પડદાનો સૌથી ક્યૂટ કૃષ્ણ માનવામાં આવે છે. આ ઉપરાંત તેણે ‘ઉત્તર રામાયણ’માં કુશનું પાત્ર નિભાવ્યું હતુ. સ્વપ્નિલ નાના પડદા પર ઘણા કૉમેડી શૉમાં જોવા મળી ચુક્યો છે.
સૌરભ રાજ જૈન: આજના સમયની વાત કરીએ તો સૌરભ રાજ જૈન કૃષ્ણનાં રોલમાં એક જાણીતો ચહેરો છે. વર્ષ 2013માં બનેલા નવા ‘મહાભારત’માં સૌરભે કૃષ્ણની ભૂમિકા નિભાવી હતી. મહાભારત પહેલા તેમણે ‘કસમ સે’, ‘યહાં મે ઘર-ઘર ખેલી’, ‘પરિચય’ ‘દેવો કે દેવ મહાદેવ’ અને ‘ઉતરન’માં કામ કર્યું હતુ.
ધૃતિ ભાટિયા:બાલ ગોપાલ કૃષ્ણનું પાત્ર ધૃતિ ભાટિયાએ જ્યારે નિભાવ્યું તો વિશ્વાસ જ ના થયો કે આ તો હકીકતમાં છોકરી છે. ધૃતિએ ત્યારબાદ ‘માતા કી ચૌકી’માં નાની દુર્ગાનું પાત્ર ભજવ્યું હતુ. આ સિવાય તે ઘણી સીરિયલ્સમાં કામ કરી ચુકી છે.
વિશાલ કરવાલ:વિશાલ કરવાલ ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતુ નામ છે. ઘણી ફિલ્મો અને રિયાલિટી શોમાં તે કામ કરી ચુક્યો છે. વિશાલે ‘દ્વારકાધીશ’માં કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતુ. આ સિવાય માઇથોલૉજિકલ સીરીઝ ‘પરમાવતાર’માં પણ તે કૃષ્ણ બનેલો જોવા મળ્યો હતો.