Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

મારા પિતા અમિતાભ બચ્‍ચનનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્‍પિટલમાંથી રજા અપાઇઃ અભિષેક બચ્‍ચને ટ્‍વિટ કરીને જાણકારી આપી

નવી દિલ્હી: બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ઘરે પરત ફર્યા છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે લોકો તે જાણવા માગે છે કે, તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ શું આવ્યો છે. તો તમને જણાવી દઇએ કે, અભિષેક બચ્ચને ટ્વિટર પર પોતાના કોરોના રિપોર્ટની જાણકારી આપી છે. આજે તેમણે બે ટ્વિટ કર્યા. પહેલા ટ્વિટમાં અભિષેકે તેના પિતા વિશે જાણકારી આપી અને બીજામાં પોતાના વિશે જણાવ્યું છે.

અભિષેકે પહેલા ટ્વિટ કરવાની સાથે જણાવ્યું કે, તેના પિતા અમિતાભ બચ્ચનની લેટેસ્ટ કોરોના રિપોર્ટ નેગેટિવ આવી છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હવે તેઓ ઘરે આરામ કરશે. સાથે જ અભિષેક બચ્ચને તે તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે જેમણે અમિતાભ બચ્ચન માટે સતત પ્રાર્થના કરી રહ્યાં હતા. ત્યારે તેમણે બીજા ટ્વિટમાં પોતાના કોરોના રિપોર્ટ વિશે જાણકારી આપી હતી.

તેણે બીજા ટ્વિટમાં જણાવ્યું કે, હજુ સુધી તે કોરોના પોઝિટિવ છે અને તે કોરોનાને હરાવી સ્વસ્થ થઇને પરત ફરશે. તમને જણાવી દઇએ કે, ગત મહિને અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ ઘરના બાકી સભ્યોનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં એશ્વર્યા અને આરાધ્યા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે જયા બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, અગસ્તયા નંદા અને નવ્યા નવેલી નંદાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બાદમાં એશ્વર્યા અને આરાધ્યાની કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવી હતી.

(4:53 pm IST)