Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા...’માં હવે દયાભાભીની ઍન્ટ્રી થવાના ઍંધાણઃ અંજલી મહેતા સહિતના જેઠાલાલને પૂછે છે કે દયાભાભી ક્યારે પરત આવશે ?

અમદાવાદઃ ભારતના સૌથી લોકપ્રિય કોમેડી સિરિયલનું નામ યાદ કરવામાં આવે તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશમા' નામ પહેલા યાદ આવે. નાના ભૂલકાઓથીને લઈને મોટેરાઓ અને વૃદ્ધોમાં આ શોની લોકપ્રિયતા બરકરાર છે.આ સિરિયલ વર્ષ 2008માં શરૂ થઈ હતી અને 12 વર્ષથી ચાલી રહેલી સિરિયલ હજી TRP રેટિંગમાં ટોપ શોમાં સામેલ રહી છે. વર્ષ 2017માં દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ પ્રેગનન્ટ થયા બાદ શો ને છોડ્યો હતો. ફેન્સ આતુરતાથી તેમના ફેવરેટ દયાભાભીની રાહ જોતા રહ્યા પરંતું સિરિયલમાં હજી સુધી દયાબહેનની વાપસી થઈ નથી. ત્યારે ફરી ગરબા ક્વીન દયાભાભી એટલે કે દિશા વાકાણીની શોમાં વાપસી થઈ શકે છે.

નવા વર્ષની શરૂઆતમાં દયાભાભીને કરાયા યાદ

સિરિયલમાં નવા વર્ષની ઉજવણી બાદ કેટલાક એવા એપિસોડ્સ બતાવવામાં આવ્યા કે જેમાં સિરિયલના અન્ય પાત્રો દયાભાભી એટલે કે દિશા વાકાણીને યાદ કરી રહ્યા હોય. અંજલી અને તારક વાતચીત કરતા બતાવે છે જેમાં અંજલી તારકને કહે છે કે વર્ષ 2021માં કોરોનાની વેક્સીન બધાને અપાઈ જાય, પોપટલાલના લગ્ન થઈ જાય અને દયાભાભી સોસાયટીમાં પરત આવી જાય. અન્ય  એપિસોડ્સમાં પણ અંજલી મહેતા અને અન્ય મહિલા પાત્રો જેઠાલાલને પૂછતા હોય છે કે દયાભાભી ક્યારે પરત આવશે?.... તો જેઠાલાલ પણ ચંપકચાચા સાથેની ચર્ચામાં પણ દયાને બહુ યાદ કરતા દેખાડવામાં આવ્યા છે. ત્યારે મેકર્સે તેમના ફેન્સને  સંકેત આપ્યા છે કે દયાભાભીનું પાત્ર પરત ફરશે.

જેઠાલાલે દયાભાભીને પત્ર સંભળાવવાની કરી વાત

તારક મહેતા કા ઉલ્ટા ચશમાના એક એપિસોડમાં એવું દર્શાવવામાં આવ્યું કે બબીતા ગુજરાતીમાં લખાયેલો પ્રેમપત્ર જેઠાલાલ પાસે લઈને આવે છે અને જેઠાલાલને તે પત્ર હિન્દીમાં સમજાવવાનું કહે છે. જેઠાલાલ બબીતાને પ્રેમપત્ર સમજાવે છે. એપિસોડમાં જેઠાલલ બબીતા અને ઐય્યરને કહે છે કે તે દયાને ફોન કરી આ પત્ર સંભળાવશે. આ એપિસોડમાં દયાભાભીને જેઠાલાલ યાદ કરતા બતાવ્યા અને દર્શકોને દયાભાભી પરત ફરશે તેવા સંકેત આપવામાં આવ્યા.

સુંદરની ફરી એન્ટ્રીએ દર્શકોમાં ફરી ઉભી કરી ચર્ચા

સિરિયલમાં લાંબા સમય બાદ દયાના ભાઈ સુંદરનું પાત્ર દર્શાવવામાં આવ્યું. સુંદરને જોઈ જેઠાલાલ વિચારે છે કે ચોક્કસ તેના પાસેથી રૂપિયા ખંખેરવા આવ્યો છે. સુંદર અને તેના મિત્રો પણ જેઠાલાલને હેરાન કરે છે અને આખરે તેઓ દયાનો લખેલો પત્ર જેઠાલાલને વાંચવા આપે છે.

અનેકવાર દિશા વાકાણીની પરત આવવાની ચાલી અટકળો

દિશા વાકાણીએ વર્ષ 2017માં સિરિયલ છોડી હતી પરંતું અનેકવાર તે સિરિયલમાં પરત ફરશે તે ચર્ચાએ જોર પકડ્યુ હતું. ત્યારે હવે મેકર્સ પોતે દયાભાભીનું પાત્ર પરત આવશે તેવા સંકેત દર્શકોને આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં હાલ સિરિયલના પ્રોડ્યુસર કે અન્ય કોઈ કલાકારોએ દિશા વાકાણીના પરત ફરવા પર સ્પષ્ટતા કરી નથી પરંતું જે રીતે સિરિયલમાં દિશા વાકાણી એટલે કે 'દયા ભાભી' ને યાદ કરવામાં આવે છે તેને જોઈ હવે દર્શકોમાં તેમના ફેવરિટ પાત્રને ફરી જોવા માટે આતુરતા વધી ગઈ છે.

(5:00 pm IST)