Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

અભિનેત્રી શ્વેતા તિવારી બે વખત પ્રેમમાં નિષ્‍ફળતાનો સામનો કર્યા બાદ ત્રીજી વખત પ્રેમમાં પડવા તૈયાર ?

નવી દિલ્હી : એક્ટ્રેસ શ્વેતા તિવારી હાલમાં પોતાની વેબસિરીઝ 'હમ તુમ ઔર ધેમ' મામલે ચર્ચામાં છે કારણ કે શ્વેતા પોતાની કરિયરમાં પહેલીવાર ઇન્ટિમેટ સીન કરી રહી છે. આ સિરીઝમાં શ્વેતા સાથે અક્ષય ઓબેરોયની જોડી છે. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી છેલ્લા થોડા સમયથી પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. શ્વેતા તિવારીના પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા અને તેમને એક દીકરી પલક પણ છે. જોકે તેમના ડિવોર્સ પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પછી તેને રેયાંશ નામનો દીકરો પણ થયો છે. બીજા પતિ અભિનવ કોહલી સાથે બગડેલા સંબંધોએ શ્વેતાના જીવનમાં ઊથલપાથલ મચાવી છે. એક્ટ્રેસ અભિનવ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરાવ્યો છે અને ડિવોર્સ લેવાની છે. આમ, શ્વેતા બે વખત પ્રેમમાં નિષ્ફળતાનો સામનો કરી ચૂકી છે. હાલમાં જ્યારે તેને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તે ફરી પ્રેમમાં પડવા તૈયાર છે? ત્યારે તેણે શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ જવાબ આપ્યો હતો.

શ્વેતાએ કહ્યું છે કે હું પહેલાથી જ મારા બાળકોના પ્રેમમાં છું અને હવે મારી પાસે બીજા કોઈ માટે સમય નથી. હું મારા બાળકોના પ્રેમમાં એટલી ડૂબેલી છું કે મને નથી લાગતું કે હવે મારે બીજા કોઈની જરૂર છે. આપણી આસપાસ એવી ઘણી મહિલાઓ છે જે કેટલીય પરેશાનીઓનો સામનો કરી રહી છે. હું બહાદુર નથી. હું દુર્બળ છું. હું મારી પરેશાનીઓમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી છું. હું રડું છું, ભાંગી પડું છું પરંતુ પછી વિચારું છું કે આ સ્વાભાવિક છે.

શ્વેતાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે ''હું મારા બાળકોની સુખાકારી માટે યોગ્ય હશે એ નિર્ણય જ લઈશ. મારા લગ્નજીવનમાં સમસ્યા છે તો શું? એમાં મોટી વાત નથી પણ હું આવી વ્યક્તિ સાથે નહીં રહી શકું એ કહેવાની મારામાં હિંમત છે. આપણે આપણી આસપાસ એવા અનેક લોકો જોઈએ છીએ જે પરિણીત હોવા છતાં ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ રાખતા હોય. સંબંધોમાં આવી સમસ્યા હોય એના કરતા સ્પષ્ટ રહેવું વધારે યોગ્ય છે.''

(4:57 pm IST)