જિનવાણીનો રણકાર સતત થતો હોય,તા....દેવ, તા... દેવ દિજ્જ બોહીંના ગગનભેદી નાદ સંભળાતા હોય,સાડા ત્રણ કરોડ રોમ રાય ઝંકૃત થતાં હોય,ઘેઘુર અને મીઠો મધુરો અવાજ આવતો હોય તો સમજી લેવું કે પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.નો ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. છેલ્લા થોડા દાયકાઓથી માત્ર મહારાષ્ટ્ર કે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સૌ - રાષ્ટ્રમાં વસતા ભાવિકોને ભાવિત અને પ્રભાવિત કર્યા છે.એટલે જ અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.ભાવચંદ્રજી સ્વામી કહે છે કે પૂ.નમ્રમુનિ મ.સા.ગોંડલ સંપ્રદાય જ નહીં પરંતુ જિન શાસનનું ગૌરવ છે.ગોંડલ સંપ્રદાયના તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ની જેઓને અનન્ય કૃપા પ્રાપ્ત થયેલી છે તેવા પૂ.ગુરૂદેવ નમ્ર મુનિ મ.સા.નો ૪૮ મો જન્મોત્સવ માનવતા મહોત્સવ તરીકે રાજકોટમાં સમૂહ ચાતુર્માસમાં ઉજવાય રહ્યો છે ત્યારે ચાલો તેઓના જીવન વિશે થોડું જાણીએ..
પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે અનેક આત્માઓને સંયમ માર્ગની પ્રેરણા કરી યુગ દીવાકરનું બિરૂદ ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે,અને હા..હજુ તો આ તેઓની શરૂઆત છે. તેઓ સાઈલન્ટ બટ સ્પીકિંગ રિવોલ્યુશન એટલે કે શાંત પણ બોલકી ક્રાંતિ સર્જે છે. પૂ.ગુરુદેવની કલ્પના શકિત પણ અદભૂત છે. તેઓ બહુ દુરનું વિચારી અને તેના પરીણામો જોઈ અને મેળવી શકે છે,એટલે જ સૌ પૂ.નમ્ર મુનિજીને દુરંદેશી કહે છે.
શ્રમણ સંઘના આચાર્ય ભગવંત પૂ.શિવમુનિજી કહે છે કે દરેક સંયમી આત્માઓને સંયમ માર્ગમાં સહાયક બનવાનો પૂ.નમ્રમુનિ મ.સા.નો સ્વભાવ સાધુવાદને પાત્ર છે. બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ.અમીગુરૂ કહે છે કે પૂ.નમ્રમુનિ સદાય આંતરખોજમાં જ ડૂબેલા રહે છે.પૂ.ગુરૂદેવના સંયમી માતુશ્રી પૂ.પ્રબોધિકાબાઈ મ.સ.કહે છે કે '' મહાવીર'' નાનપણ અને બાળપણથી જ નિરાલા હતાં. પૂ.વીરમતિબાઈ મ.સ. ના મુખમાંથી ''મહાવીર'' નામનો રણકાર કાને અથડાયો અને સફાળા થઈ તેઓ જાગી ગયા અને મહાવીરમાથી પૂ.નમ્રમુનિ મ.સાહેબ નામ ધારણ કરી જબરદસ્ત કાર્ય કરી જિન શાસનનો ડંકો વગાડી રહ્યાં છે.પૂ.ગુરૂદેવે જૈન શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરેલો છે.અનેકાંતવાદ ખૂબ સુંદર રીતે સરળ શૈલીમાં સમજાવે છે. તેઓ કહે છે કે કોઈ પણ વ્યકિત પ્રત્યે પૂર્વગ્રહ બાંધવો નહીં. હજારો ખૂન કરનાર અર્જૂન માળી, મૂનિ બનીને પ્રભુ મહાવીર પહેલા મોક્ષે પહોંચી જાય છે. પ્રભુ નેમનાથ પહેલાં રાજુલ સિદ્ઘ અવસ્થા પ્રાપ્ત કરી લે છે.
પૂ.ગુરૂદેવ યુવા હૃદયનાં સમ્રાટ છે. તીર્થ લાઠિયા નામનો નાનો બાળક કહે છે કે બાળકોના લાડીલા છે તેથી જ તો હજારો બાળકો દેશ - વિદેશમાં લુક એન લર્ન જૈન જ્ઞાન ધામમાં જૈન ધર્મનું પાયાનું જ્ઞાન મેળવી રહ્યાં છે. તુષારભાઈ મહેતા કહે છે કે પૂ.ગુરૂદેવની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપના હજારો યુવાનો નકકર પરિણામો સાથે સેવા ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે.ગોંડલ સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારીએ જણાવ્યું કે પૂ.ગુરૂદેવે નાની ઉંમરમાં બહુ મોટા સદ્દકાર્યો કરી જિન શાસનની આન - બાનને શાન વધારી રહ્યાં છે. રોયલ પાર્ક મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠે કહ્યું કે પૂ.ગુરૂદેવે સેવા ક્ષેત્રે નવી ઓળખ પ્રદાન કરી છે.તેઓ બીબાઢાળથી ઉપર ઉઠીને અલગ વાત કરે છે જે દરેક માટે લાભદાયી હોય છે. મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ જણાવ્યું કે પૂ.નમ્રમુનિ મ.સા.ને એક જ વખત મળનારને કે તેઓની સાથે થોડી વાતચીત કરનારને એક વાત તરત સમજાય જાય છે કે આ સંતમાં કશુંક જબરૂ તત્વ અને ચુંબકીય તાકાત છે.જે તેઓની બુદ્ઘિમાથી અથવા તો કોઈ અલૌકિક કૃપાથી તેઓના આંતરિક માળખામાંથી ઝરે છે.ઉદારદિલા જીતુભાઈ બેનાણીએ જણાવ્યું કે પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.સમાજના બહોળા હિતમાં કાંઈક નવું કરશે અને સરળતાથી કરી શકશે એવી ભાવિકોને અપાર શ્રદ્ઘા છે. રાજકોટ સમૂહ ચાતુર્માસના સંઘપતિ નટુભાઈ શેઠ કહે છે કે પૂ.ગુરૂદેવે લિજ્જત અને ઈજ્જતથી સાત સમદંર પાર પણ જિન શાસનનું નામ ઉજ્જવળ કર્યું છે.તેઓની શુભ પ્રેરણાથી વિદેશોમાં પણ અનેક માનવતાના,સેવા સહિત જ્ઞાન યજ્ઞ સુંદર ચાલી રહ્યાં છે. ગુરૂ ભકત જીગરભાઈ શેઠે પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે પૂ.ગુરૂદેવમાં અમોએ જોયું છે કે તેઓશ્રી જે છે એને સ્વીકારવા કરતાં વધુ સારૂ શું થઈ શકે છે એના ઉપર વિચાર કરી પરિણામ મેળવી કમાલ કરે છે.તેઓ એકની એક બાબત કયારેય રિપીટ કરતાં નથી.ઉદારદિલા કાંતિભાઈ શેઠે કહ્યું કે પૂ.ગુરૂદેવે જિન શાસન માટે સતત અને સખત પુરૂષાર્થ કરી પોતાની આગવી અને અનોખી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદ્દસ્ય કમલેશભાઈ શાહ તથા રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અનિલભાઈ દેસાઈએ જણાવ્યું કે પૂ.ગુરૂદેવના મુખમાથી નીકળતી અલૌકિક વાણી સાંભળતા જ પ્રતિતી થયા વગર રહે નહીં કે આ કોઈ સામાન્ય વાણી નથી પરંતુ અનુભૂતિના ઊંડાણમાંથી નીકળેલી વાણી છે. રજનીભાઈ બાવીસી, ડોલરભાઈ કોઠારી, હરેશભાઈ વોરા, ઉપેનભાઈ મોદી, મેહુલભાઈ દામાણી, ધીરૂભાઈ વોરા, હિતેશભાઈ મહેતા, પ્રતાપભાઈ વોરા, સુશીલભાઈ ગોડા, પરેશભાઈ સંઘાણી, કિરીટભાઈ શેઠ, શિરીષભાઈ બાટવીયા, નિલેશભાઈ શાહ, મહેશભાઈ મહેતા, મધુભાઈ શાહ, ભરતભાઈ દોશી, મધુભાઈ ખંધાર, સુધીરભાઈ બાટવીયા, મયુરભાઈ શાહ, નરેન્દ્રભાઈ દોશી, હિતેનભાઈ અજમેરા, કમલેશભાઈ મોદી, વિનુભાઈ મારફતીયા, જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, મિલનભાઈ કોઠારી, ધીરેનભાઈ ભરવાડા વગેરે અગ્રણીઓએ જણાવ્યું કે પૂ.નમ્ર મુનિ મ.સા.નું જ્ઞાન અજોડ છે.ભૂગોળ હોય કે ખગોળ,શિલ્પ શાસ્ત્રની વાત હોય કે અર્થ શાસ્ત્રની,રોગ વિશે પૂછો કે યોગ વિશે, સાહિત્યની વાત હોય કે સમાજની બાબત દરેક વિષયો ઉપર આગમ આધારિત જિજ્ઞાસુઓને સંતોષકારક પ્રત્યુત્તર આપે છે. તેઓએ પ્રુવ કરી બતાવ્યું છે કે સફળતા માટે સૂઝબૂઝ, સંકલ્પ સાથે સંકલન પણ યોગ્ય જોઈએ.તેઓ કહે છે આપણે પ્રસન્ન હોઈએ તો આપોઆપ આસપાસ પ્રસન્નતા ફેલાયા વગર રહે નહીં.તેઓ વારંવાર કહે છે કે કવોલીટી વર્ક કરવાથી સરવાળે,ગુણાકાર થાય છે. કોઈ પણ નવો વિચાર હોય,નવું સાહસ હોય તો સફળતા અને કાર્ય સંપન્નતા મેળવવા થોડા મુશ્કેલ જરુર હોય છે પણ અશકય તો નથી જ જે પૂ.ગુરૂદેવે અનેકવાર સાબિત કરી બતાવ્યું છે.
પરમધામ પડઘા દીક્ષા સ્થળ પસંદ કરતી વખતે અનેક સૂચનો આવતા કે ગુરૂદેવ આ જંગલમાં આટલું વિરાટ કાર્ય કેમ થશે ? મુંબઈ મહા સંઘના પરાગભાઈ શાહ કહે છે કે પૂ.ગુરૂદેવે તા.૪ /૨/૧૮ના સફળતાપૂર્વક ઐતિહાસિક સંયમ મહોત્સવ કરી જંગલમાં ખરેખર મહા મંગલ કાર્ય કરી બતાવ્યું.સંયમ મહોત્સવ મધ્યે સાહિત્યપ્રેમી પૂ.દેવેન્દ્રમુનિ મ.સા., પરમ શ્રધ્યેય પૂ.ગુરૂદેવ ધીરજમુનિ મ.સા., અજરામર સંપ્રદાયના પૂ.વિમલમુનિ મ.સા. વગેરે સંતોએ પૂ.નમ્રમુનિ મ.સા.ને પૂણ્ય સમ્રાટનું બિરૂદ આપી નવાજયા. પૂ.નમ્રમુનિજી મ.સા.ને તપ સમ્રાટની અનન્ય કૃપા મળી અને ફળી છે. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રને તેઓએ આત્મસાત્ કરેલ છે.પૂ.ગુરૂદેવના શ્રીમુખેથી આ સ્તોત્રના દિવ્ય જાપ સાંભળવા તે એક જીવનનો લ્હાવો છે.માત્ર ઉવસગ્ગહરં સ્તોત્ર જ નહીં પરંતુ નવકાર મહા મંત્રની અપૂર્વ અને અજોડ જપ સાધના કરાવે છે.રત્નાકર પચ્ચીસી હોય,સાધુ વંદના હોય કે પુચ્છિસૂણં વગેરે ઉપર એક - એક પદ અને ગાથાનો તેઓ સરળ શૈલીમાં જે છણાવટ કરે છે તે અદભૂત હોય છે. આ બાબતની અનુભૂતિ કરવી હોય તઓ આગામી તા.૨૩/૯ ના રાજકોટ ડુંગર દરબારમાં નવકાર મહામંત્રના જાપમાં પધારજો.
ભરતભાઈ ડેલીવાળા અને રાજુભાઈ કેસ્ટટ્રોલવાળા કહે છે કે પૂ.નમ્ર મુનિ મ.સા.માં કંઈક નવું અને પોઝીટીવ કરવાની આભા ખરેખર નોખી - અનોખી છે.પૂ.ગુરુદેવ કહે છે બીજાને જે શ્રેષ્ઠ ગણે છે તે સર્વ શ્રેષ્ઠ બને છે.જન્મોત્સવના પાવન અવસરે પૂ.ગુરૂદેવ નમ્ર મુનિ મ.સા.ને વંદન સહ અભિનંદન.
સંકલનઃ મનોજ ડેલીવાળા, રાજકોટ
મો.૯૮૨૪૧ ૧૪૪૩૯
પૂ.ગુરૂદેવના મુખમાથી વારંવાર નીકળતા ઉદ્દગારો.
*ઝંખેલુ કદી જડતુ નથી,જડે છે તે ઝંખેલુ હોતું નથી.
*અંતે રાખ,અંતરમાં ઘૂટી રાખ.
*આપણે કોઈને નડીએ નહીં તો આપણને કોઈ નડે નહીં.
*મને જે મળે,જયારે મળે,જેવું મળે જયાં મળે તે મારા કર્મ પ્રમાણે જ મળે છે.
*ઈસ કાન સે ઉસ કાન..ચહેરે પે સદા મુસકાન.
* તમે તમારામાં શ્રદ્ઘા રાખશો તો સફળતાને આમંત્રણ પત્રિકા મોકલવી નહીં પડે.
* માનવ ભવ મળ્યો છે તો યોગી બનો અને યોગી ન જ બની શકો તો દરેકને ઉપયોગી બનો.
* સંત બનો કે ન બનો પરંતુ સીધા બનજો.
*શો હોય ત્યાં કદી સ્વ ન હોય.
પૂ.ગુરૂદેવની શુભ પ્રેરણાથી નિર્માણ પામેલ ધાર્મિક સંકુલો...
ઉવસગહરં સાધના ભવન -રાજકોટ, પારસધામ- ઘાટકોપર મુંબઈ,પાવનધામ- કાંદિવલી મુંબઈ, પારસધામ-કોલકત્તા, પરમધામ - પડઘા મહારાષ્ટ્ર, પારસધામ - વડોદરા, પારસધામ - જામનગર,પારસધામ - અમદાવાદ