Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

‘‘પદ્મશ્રી'' ભીખુદાન ગઢવીનો જન્‍મદિન

(મીનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય  દ્વારા) પ્રભાસ-પાટણ, તા. ૧૯ :  સફેદ લેંઘો, સફેદ ઝબ્‍બો, ખભ્‍ભે કાળી શાલ અને ચહેરા ઉપર ગોઠવાયેલા ચશ્‍મા પાછળ બે તગતગચી આંખ્‍યુ અને હાથ પેટીની ચાંપ પર આંગળીઓ ફરતી રહેતી હોય એવા લોક સાહિત્‍યના ધેધૂર વડલા સમાન પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી આજ ૧૯ સપ્‍ટે. પોતાની સફળતમ જીંદગીના ૭પમાં વરસમાં પ્રવેશે છે.

હાલ જુનાગઢ સ્‍થિત અને મુળ માણેકવાડાના વતની અને કુતિયાણાના ખીજદળ ગામે તા. ૧૯-૯-૧૯૪૮ અને ધર્મ તથા લોકસાહિત્‍યના અણમોલ વારસાને પોતાના સ્‍વરથી વિશ્વ અને રાષ્‍ટ્રમાં ઘર-ઘર સુધી પહોંચતા કર્યા છે.

ધોરણ દસ સુધીનો અભ્‍યાસ કરનાર તેઓ પ્રારંભમાં જુનાગઢના એડવોકેટ કરકર સાહેબની ઓફિસમાં નોકરી પણ કરી છે. અને માત્ર ર૦ વરસની ઉંમરેથી તેને લોકસાહિત્‍યનો કાર્યક્રમ આપવાનો શરૂ કર્યો અને વર્ષ ૧૯૬૮માં જુનાગઢના જવાહર રોડ ઉપર સ્‍વામિનારાયણ મંદિર ચોકમાં યોજાયેલ ડાયરાના એક કાર્યક્રમમાં તેઓ સૌ પ્રથમવાર જાહેરમાં મંચ ઉપર કલાકારો તરીકે આવ્‍યા.

કંઠ કહેણી તો એવી પ્રભાવશાળી-હૃદય સોંસરવી ઉતરી જાય તેવું શિવાજીનું હાલરડું હોય કે ચારણ કન્‍યા ગીત હોય, રાનવધણ કે વીર દેવાયતની વાર્તા હોય આ વાર્તા પ્રવાહમાં શ્રોતાઓ એવા રસતરબોળ બની જાય કે સવાર પડી જાય તોયેખબર ન પડે.

તેઓ વન-મેન શોની જેમ કલાકો સુધી નોનસ્‍ટોપ એકલા જ કાર્યક્રમ આપી શકે તેવી તેની ક્ષમતા છે. સન્‍માનો અને એવોર્ડ તો એટલા બધા મળ્‍યા છે કે કે જેના વિષે જાણો તો દંગરહી જાવ એથી ય આગળ ભારત સરકારનો ‘‘યજ્ઞશ્રી'' રાષ્‍ટ્રીય એવોર્ડ તેઓને તાત્‍કાલીન રાષ્‍ટ્રપતિના હસ્‍તે એનાયત થયેલ છે.

જે. કૃષ્‍ણમૂર્તિ, અરવિંદ રમણ મહર્ષિ અને સ્‍વામિ વિવેકાનંદના પુસ્‍તકો તેના વાંચન પ્રિય છે તેની શૌર્યવંતી વાતો, દિકરી વિદાય, સોરઠના સંતો, રામાયણ, મહાભારતની વાતો તથા હાસ્‍યરસ ફેલાવતી સીડી કેસેટસો, વીડીયો કેસેટો સૌ વસાવતા રહ્યા છે. ‘‘જીવ શાને ફરે તૂં... ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં એવું તો લોકપ્રિય થયું કે આજેય પણ તેને કંઠે સાંભળવું સાર્થકતા ગણે છે. રાષ્‍ટ્ર માટે જરૂરત પડે કાર્યક્રમ આપ્‍યા છે. તેમના જન્‍મદિને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ મો. નં. ૯૮રપર ર૦૬પ૮ ઉપર થઇ રહો છે.

(1:56 pm IST)