Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

બહુ આયામી વ્યકિતત્વ અને વિલક્ષણ ઓળખ

શિક્ષણ, સાહિત્ય અન પત્રકારત્વ ક્ષેત્રે તેજોમય ડો. ચંદ્રકાન્ત મહેતાનો જન્મદિન

રાજકોટ : ગુજરાતમાં શિક્ષણ, સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયથી અમુલ્ય યોગદાન આપી રહેલા સુપ્રસિધ્ધ  સમાજ સેવક ડો. ચંદ્રકાન્ત  મહેતા આજે ભાવ અને પ્રભાવથી ભરપુર જીવનના ૮૧માં વર્ષના દ્વારે પહોચ્યા છે. તેઓ મુળ ધોળકા તાલુકાના સરોડા ગામના વતની છે. એમ.એ., પી.એચ.ડી., એલ. એલબી. , પી.જી. ડીપ્લોમાં ઈન જર્નાલિઝમની પદવી ધરાવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે રહી ચૂકયા છે. અમદાવાદની જાણીતી સંસ્થા હીરામણિ શિક્ષણ સંકુલમાં વર્ષો સુધી નિયામક તરીકે યશસ્વી સેવા આપેલ. ગુજરાત યુનિવર્સિટી માન્ય પી.એચ.ડી. ગાઇડ છે. 'કેમ છે દોસ્ત' , 'એક જ છે ચિનગારી ', 'ગુફતગુ' વગેરે લોકપ્રિય કટારના તેઓ લેખક છે. તેમણે ૫૦૦૦ થી વધુ લોકપ્રિય લેખ લખ્યા છે.  તેમને 'ધૂમકેતુ સંસ્કૃતિ એવોર્ડ' , 'કાદમ્બરી એવોર્ડ', 'ઈન્ટરનેશનલ બ્રાહ્મણ સ્કોલર એવોર્ડ', 'સંસ્કાર એવોર્ડ' સહિત શ્રેણીબધ્ધ સન્માન મળ્યા છે. હિન્દી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ૯ સંશોધકોને ગુજરાત યુનિવર્સિટીએ ડોકટરની પદવી આપી છે.

મીડિયા રીસર્ચ ગુજરાતી ભાષમાં તૈયાર થયેલા પ્રથમ પુસ્તકના  તેઓ લેખક છે. તેમજ 'મીડિયા એથિકસ' (માધ્યમોની આચારસંહિતા)નુ પુસ્તક પણ એમનુ મહત્વ પ્રદાન છે. 'પત્રકારત્વ : સિધ્ધાંત અને અધ્યયન' તથા 'સંચાર માધ્યમ સંશોધન' નામના પુસ્તકના તેઓ લેખક છે. જેને ગુજરાત સાહિત્ય એકેડમીએ પુરસ્કાર દ્વારા નવાજ્યુ છે. પત્રકારત્વ વિષયક આ ત્રણે પુસ્તકોને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના પત્રકારત્વ  વિભાગોએ સંદર્ભ ગ્રંથ તરીકે નવાજ્યુ છે. ડો. મહેતાને પત્રકારત્વના વિદ્યાર્થીઓ  'મીડિયા ગુરૂ' તરીકે સન્માને છે. તેમના હાથ નીચે ૧૫૦૦ થી પણ વધારે પત્રકારો તૈયાર થયા છે. ડો. મહેતાનાા જીવનનું ધ્યેય છે કે યુવાનો પોતાનો લક્ષ્ય સિધ્ધી કરે તેવી આંતરિક  કાબેલિયતનો વિકાસ સાધે.  તેઓ ગુજરાતમાં કોલેજ કક્ષાએ અનેકવિધ વ્યવસાયલક્ષી  અભ્યાસક્રમોના (૧૯૭૮) નવ ગુજરાત મલ્ટીકોર્સ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યુટના સ્થાપક નિયામક તરીકે કાર્યરત રહ્યા છે. નવપ્રવર્તનલક્ષી વ્યવસાયિક અભ્યાસક્રમો જેવા કે યુવાનો અને મહિલાઓ માટેનો વ્યકિતત્વ - વિકાસ અભ્યાસક્રમ તથા અનુસ્નાતક, ડિપ્લોમાં જેવા કે પ્રવાસન, પત્રકારત્વ , પ્રબંધન અને કોમ્પ્યુટર વગેરેમાં કાર્યરત વર્ષો સુધી અનેક સંસ્થાઓમાં આવા અભ્યાસક્રમોના આરંભ અને સંચાલન રહ્યુ છે. આજે જન્મદિન નિમિતે  શુભેચ્છા વર્ષથી ભીંજાઇ રહ્યા છે.

ફોન નં. ૦૭૯-૨૬૯૨૯૨૯૧  મો. ૯૮૨૪૦ ૧૫૩૮૬ અમદાવાદ (૧૭.૩)

(11:47 am IST)