Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના માનદમંત્રી કે.ડી.કારીઆનો કાલે જન્મદિન

રાજકોટ : જાણીતા રઘુવંશી અગ્રણી સમાજ સેવક, અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના માનદમંત્રી કે. ડી. કારીઆનો આવતીકાલે તા.૧૫ ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસે ૭૧મો જન્મદિવસ છે. તેઓ નાનપણથી જ તેમના પિતાશ્રી સ્વ.ધનજીભાઈ કારીઆની પ્રેરણાથી માનવ સેવા જ પ્રભુ સેવાના ધ્યેયને સમર્પિત રહી શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના માધ્યમથી સતત દર્દી નારાયણ તથા દરીદ્ર નારાયણની સેવા કરી રહ્યા છે. તેઓ લોહાણા યુવક પ્રગતિ મંડળમાં મંત્રી તરીકે તેમજ શહેર લોહાણા કર્મચારી મંડળમાં ઉપપ્રમુખ તરીકે તેમજ બેંક ઓફ બરોડામાં કર્મનિષ્ઠ કર્મચારી તરીકે વર્ષો સુધી સેવા આપી ચૂકયા છે. તેઓ કે.ડી.ના હુલામણા નામે જાણીતા છે. તેમના જન્મદિવસને અનુલક્ષીને મોરબીના મે. જેઠાલાલ શિવજીભાઈ પેઢીવાળા ભરતભાઈ ચંદે દ્વારા ટ્રસ્ટને બી.પી. કંટ્રોલીંગ મશીન તેમજ કે.ડી.કારીઆ પરિવાર દ્વારા ૭ નંગ વાઈબ્રેટર તથા અન્ય સાધનોની કીટ આપવામાં આવેલ છે. તા.૧ સપ્ટેમ્બરના રોજ ગરીબો માટે વિશિષ્ટ અનાજ વિતરણનો કાર્યક્રમ દાતાઓ દિલીપભાઈ સોમૈયા, ઘોઘુભા બાપુ, નિશાબેન પંડ્યા તેમજ જે.ડી.ઉપાધ્યાય, સવાભાઈ ડાંગર, આર.એસ. બાવીશી પરીવાર - હા. નવીનકાકા શાહ, પરાગભાઈ પારેખ, કલ્પાબેન પંચમીયા, રાજુભાઈ ગાંધી વગેરેના સહયોગથી રાખવામાં આવેલ છે. તેમના જન્મદિનની પૂર્વ સંધ્યાએ તેમને મો.૯૪૨૬૮ ૪૫૫૫૭ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

(1:24 pm IST)