Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

કૃષિ મંત્રી રૂપાલાની સોળ આની કારકીર્દિ,સફળતાનો મોલ અનમોલઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ. ગુજરાતના જાહેર જીવનના ગગનમાં ગુંજતુ નામ એટલે શ્રી પરસોતમ રૂપાલા તેમણે ૧૯૫૪ના વર્ષની તા. ૧ ઓકટોબરે જન્મીને આજે છાંસઠમાં વર્ષના દરવાજે ટકોરા માર્યા છે. હાલ ભારત સરકારના કૃષિ રાજ્યમંત્રી તરીકે કાર્યરત છે. તેમની કારકીર્દિ સોળ આની રહી છે. પુરૂષાર્થ અને પ્રારબ્ધથી તેમની સફળતાનો મોલ અનમોલ બન્યો છે.

શ્રી પરસોતમ રૂપાલાએ કારકીર્દિના આરંભે અમરેલી જિલ્લાની હામાપુર ગામની શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવેલ. હામાપુરથી રાજકારણમાં સામા પુર તરી ગયા છે. એક સમયે તેઓ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફીસર હતા. ભાજપના રંગે રંગાયા પછી પ્રદેશ પ્રવકતા, મહામંત્રી અને પ્રમુખ, રાષ્ટ્રીય ઉપપ્રમુખ સુધીના ચાવીરૂપ સ્થાનો સંભાળ્યા છે. રાજ્યમાં ખેતીવાડી અને પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી તરીકેની કામગીરીનો પણ અનુભવ ધરાવે છે. રાજ્યસભાના સભ્ય તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે. સાહિત્ય અને સમાજ જીવનના પ્રવાહોમાં ઉંડો રસ ધરાવે છે. તળપદી શૈલીના લોકપ્રિય વકતા હોવાથી વિવિધ ચૂંટણીઓમાં ભાજપ સ્ટાર પ્રચારક તરીકે છવાઈ જાય છે. 'હાજરજવાબીપણુ' તેમની આગવી ઓળખ છે. આજે જન્મદિન નિમિતે તેમના પર વાદલડી વરસી રે, શુભેચ્છાના સરોવર છલી વળ્યા...

મો. ૯૮૨૫૩ ૨૬૬૬૦ અને ૭૯૯૦૦ ૧૯૯૩૧ - નવી દિલ્હી

(11:41 am IST)