વિવિધ વિભાગ
News of Monday, 20th July 2020

આજના શુભ દિવસે - 652

એક  શહેરમાં સુખી જૈન કુટુંબના વડિલનું ૬૦ વર્ષની ઉંમરે અવસાન થયું. પત્ની, દિકરો-વહુ અને દિકરી-જમાઇ બધા રહે છે. આ સમાચાર સાંભળી જૈન મુની આવી ચડે છે. લોકવાયકા હતી કે આ મુની મૃતને જીવતા કરી શકે છે. પણ કદી કોઇએ જોયેલ નહીં.

પત્ની રડે છે. 'અમે ૩પ વર્ષ સાથે રહ્યા, હવે મારી જીંદગી કેવી રીતે જશે અને એમના વિના જીવવું પણ નહીં ગમે...! 'દિકરો કહે છે કે આ આટલો મોટો ધંધો હું કેવી રીતે સંભાળી શકીશ.' દિકરી પણ ખૂબ જ રડે છે.  અને કહે છે કે હું તો પપ્પાની લાડકી દિકરી હતી, દરરોજ અમારે ફોન પર અચૂક વાત થતી. હવે એમના વગર મને કેમ ગમશે...!

જૈન સાધુ ચૂપચાપ જોયા કરે છે અને પછી વાતાવરણ થોડું શાંત થયુ એટલે જવા માટે રજા માંગે છે. કુટુંબના  બધા સભ્યો એક બીજા સામે જોયા કરે છે અને પછી પૂછે છે. 'આપ મૃતકને જીવન' કરવાની વિદ્યા જાણો છો એવું અમે સાંભળેલ છે. અત્યારે આ બાબતમાં કંઇ મદદ કરી શકો ?'

'હા, ચોકકસ, પણ પ્રશ્ન એ છે કે એમાં જીવ નાંખવો પડે અને એ જીવ તમારામાંથી કોઇએ આપવો પડે...!'

પત્ની કહે કે મારાથી તો ન આપી શકાય. આ મારા દિકરાના ત્રણ સંતાનોના સુસંસ્કારી ઉછેર કરવાનો છે.

પુત્ર કહે કે મારાથી તો જીવ આપવો એ શકય જ નથી. આ કુટુંબની આર્થિક જવાબદારી મારા પર છે. તો પછી, એ સંભાળે કોણ?

પુત્રવધુ તો કહે છે આ મારા બાળકો મારા વિના એક મીનીટ પણ રહી શકતા નથી, તો મારા જવાથી શું થાય એમનું ?

દિકરી કહે છે મારા સાસુ-સસરાની ઉમર ૭૦ ઉપરની છે, તો તેમની સતત કાળજી મારે રાખવાની છે. મારાથી તો જીવ કેવી રીતે આપી શકાય ?

જમાઇને તો વચ્ચે આવવાપણું જ નથી.

જૈનમુની આ બધુ ચૂપચાપ સાંભળે છે અને કશો જ પ્રતિભાવ આપ્યા વિના હળવી ચાલે ઘરની બહાર નીકળી જાય છે.

શું આ જ જીંદગી છે ?

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:40 am IST)