Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

-ત્યાં રણમાં વન, અહીં પાણીમાં રણ !

યુએઇએ રેતીમાં સમૃદ્ધિ સર્જી, આપણે એમને પણ મંદિરના રવાડે ચઢાવ્યાઃ દુનિયા પાસેથી ઘણું શીખવા જેવું...

કાશ્મીરમાં ખોટનો સોદો ચાલે છે. ગઇકાલે ચાર આતંકીઓ સ્વાહા થયા, પાંચ જવાનો શહીદ થયાં. આરપાસની લડાઇ માટે હવે કોની રાહ જોવાઇ રહી છે ? જવાનોની શહીદી દેશની શરમ ગણાય. ગઇકાલે ગુજરાતના રાજયપાલ કોહલીજીએ કહ્યું- 'અભ્યાસક્રમમાં જવાનોની વીરતાનો સમાવેશ થવો જોઇએ.'

 

આવું કહેવું પડે એ પણ શરમ ગણાય. દેશ આડા પાટે દોડી રહ્યો છે. સચીન જેવા કરવેરાથી બચવા ગોટાળા કરે, આજીજી કરીને ભારતરત્ન લઇ લે. આવા ધંધાદારી-ખુશામતિયા દેશના આદર્શ બનીને ફરે છે, તેનો સમાવેશ અભ્યાસક્રમોમાં થાય છે અને જવાનોની શહીદીની કોઇ વેલ્યુ નથી...

વિશ્વગુરૂની ક્ષમતા ધરાવતો ભારત દેશ શિષ્ય બનવાની લાયકાત પણ ગુમાવી રહ્યો છે. ગઇકાલે દુબઇમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે- 'યુએઇમાં રેગિસ્તાન કી રેત કો સુનહરી સમૃદ્ધિમાં બદલી નાખ્યો.' વાત સાચી છે. વિશ્વના અનેક દેશોએ વીપરિત પ્રકૃતિમાં સમૃદ્ધિના પહાડો સર્જી દીધા છે. ઇઝરાઇલ પાસે તો જમીન નથી, પાણી નથી, છતાં દરેક સ્તરે અગ્રીમ દેશ છે. કૃષિ ક્ષેત્રે પણ આપણે ઇઝરાઇલને અનુસરવું પડે છે એ શરમજનક નથી ?

વિશ્વના દેશો રણમાં વન સર્જીને ગૌરવ લે છે, આપણે પાણી છે ત્યાં પણ રણ સર્જવાના નિષ્ણાત બની ગયા છીએ. નર્મદા ડેમનું ડેડવોટર વાપરવાની મેચ ફિકિસંગ જેવી મંજૂરી મેળવીને જાણે પરાક્રમ કર્યું હોય તેવા નિવેદનો ફટકારવા લાગ્યા. ડેડવોટરના દિન આવી ગયા ત્યાં સુધી આયોજન ન કર્યું !

ભારતમાં વિકાસને બદલે ધર્મના ધમપછાડા બેફામ ચાલે છે. દુનિયા સંશોધનો કરીને વિકાસ કરે છે ત્યારે ભારતમાં મંદિરોનો વિકાસ થાય છે. દુનિયાને પણ મંદિરના પાટે ચઢાવીએ છીએ. અબુધાબીમાં મંદિર નિર્માણનું ભવ્ય આયોજન થયું છે.

દરેક ક્ષેત્રે ધર્મ પાલન થવું જોઇએ, ભારતમાં સમસ્યા એ છે કે, ધાર્મિકક્ષેત્રે ધર્મનું પાલન થતું નથી. ધર્મમાં દરેક સમસ્યાનો ઇલાજ છે, તકલીફ એ બની છે કે, ધર્મ જ મોટી સમસ્યા બની ગયો છે. આવા ધર્મનો ફેલાવો એ વ્યવસાયિક વિકાસ સિવાય કંઇ નથી. પરમાત્માને વિદૂરની ભાજી શબરીની ઝૂંપડી, સુદામાનો મિત્રતા પ્રિય છે. વર્તમાન ભારતીય ધર્મોમાં સમૃદ્ધિ, ઓળખાણ, પદ વગેરે મોટી લાયકાત બની ગયેલ છે. ભગવાન કરતા તેના ભકતો મોટા થઇ ગયા છે. સ્વામીઓ, કથાકારો, મૌલવીઓ પાછળ ટોળા ઉભરાય છે, ભગવાન બિચારો...

પરમાત્માએ કોઇને પૃથ્વી પરના એજન્ટ તરીકે નિમણૂક કરી નથી. બની બેઠેલા એજન્ટો પાછળ, ટોળા ઉમટે છે. આવા ધર્મ અને ધાર્મિકતાથી દેશનું અધઃપતન થયું છે. હવે આપણે અન્ય દેશોને પણ આવા ધર્મના પાટે ચઢાવીએ છીએ.

ધર્મ-અધ્યાત્મક વ્યકિતની આંતરિક બાબત છે, એની દશા ગુજરી બજાર જેવી ન બનવી જોઇએ. ભારત પર પ્રકૃતિની પરમ કૃપા છે. સુખી થવા તેનો યોગ્ય ઉપયોગ જરૂરી છે. આપણી અસમજના કારણે દુઃખી થઇ રહ્યા છીએ. મંદિરો ઘણાં છે, હવે સંશોધન કેન્દ્રો અને સમજ કેન્દ્રો સર્જવાની જરૂર છે.

(10:33 am IST)