Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

હી... હી...હી... આગાહી...!

વિશ્વયુધ્ધથી માંડીને ભયાનક ભૂકંપોની આગાહી...ભારતીય મીડિયાના ગ્રહો ગોથે ચઢ્યા!

આજે શ્રી ભિક્ષુ અખંડ આનંદજીની પુણ્યતિથી છે. ૩ જાન્યુઆરી ૧૯૪ર ના દિને તેઓએ દેહત્યાગ કર્યો હતો. પ્રાચીન ભારતમાં દરેકક્ષેત્રનું જ્ઞાન આધ્યાત્મિકતા સાથે સંકળાયેલું હતું. ખગોળ-ભૂગોળ-ગણિત-રસાયણ વિજ્ઞાન વગેરે વિષયો પર ઋષિમુનિઓએ ગજબના સચોટ સંશોધનો કર્યા છે. ગેબલી વિષયો પર પણ રસપ્રદ સંશોધનો થયા છે. જે શાસ્ત્રોમાં સચવાયેલા છે.

સુધરેલા ગણાતા ભારતીયો આવા જ્ઞાનને અંધશ્રધ્ધા તરીકે ખળાવે છે. ઋષિ-મુનિઓના સંશોધનોને સમજવામાં કે તેને સાબિત કરવામાં ભારતે ગંભીર પ્રયાસો નથી કર્યા. વિદેશી જ્ઞાનીઓથી પ્રભાવિત થવાનું આપણને વ્યસન થઇ ગયું છે. પોતાને મોટા ગણાવતા મીડિયા વિદેશથી આવેલા ગેબી પ્રકારના સમાચારોને બેનર લાઇન  જેવું મહત્વ આપી દે છે....

વિદેશી જ્ઞાન-વિજ્ઞાનનો વિરોધ કરવાનો આશય નથી, પરંતુ આપણું જ્ઞાન અંધશ્રધ્ધા અને વિદેશનું જ્ઞાન વિજ્ઞાન જેવું ગણવાની સ્થિતિ અસહ્ય જ ગણાય. ગઇકાલે ભારતના અનેક મીડિયા જૂથોએ મુખ્ય સમાચાર તરીકે ફ્રાન્સના ભવિષ્યવેતા નોસ્ત્રાદમસની ૪પ૦ વર્ષ પૂર્વેની આગાહી પ્રકાશિત કરી હતી, જે મુજબ ર૦૧૮ માં ત્રીજુ વિશ્વયુધ્ધ થશે...

નોસ્ત્રાદમસ વિખ્યાત ભવિષ્યવેતા છે, તેનો વિરોધ કરવાનો કે તેની આગાહીને અંધશ્રધ્ધામાં ખપાવવાનો આશય નથી, તેમની કેટલીય આગાહી સાચી પડી છે, પરંતુ હકીકત એ છે કે, નોસ્ત્રાદમસની બની જ આગાહીઓ સાચી પડી નથી.

ફ્રાન્સ સરકાર-લોકો અને મીડિયાએ પોતાની હસ્તીનો વિશ્વકસ્તરે પ્રચાર કરીને નોસ્ત્રાદમસને અમર કરી દીધા છે. ભારત પોતાની હસ્તીને અંધશ્રધ્ધાળુ ગણીને ભૂલી ગયો  છે. વિદેશી  પ્રચારથી અંજાઇને નોસ્ત્રાદમસની આરતી ઉતારે છે...

વિજ્ઞાન ક્ષેત્રે પણ આવી જ સ્થિતિ છે. ગઇકાલે યુનિવર્સિટી ઓફ કોલારોડામાં જીયોફિઝિસ્ટ રોજર બિલહામનો રિપોર્ટ આવ્યો તે પ્રમાણે ર૦૧૮ માં વિશ્વમાં  ૦.૭ થી ૦.૯ ની તીવ્રતાના મોટા ર૦ ભૂકંપ આવી શકે છે... આ રિપોર્ટ પણ ભારતીય મીડિયામાં મહત્વના ન્યૂઝ તરીકે ગાજી રહ્યા છે.

આધુનિક વિજ્ઞાન સ્પષ્ટ કહે છે કે ભૂકંપની આગાહી શકય નથી. મહત્વની બાબત એ પણ છે કે પૃથ્વી પર ભુકંપો નિરંતર પ્રક્રિયા છે. દરરોજ સામાન્ય આંચકા આવતા રહે છે, કયારેક મોટા આંચકા પણ અનુભવાય છે.જે પ્રક્રિયા થતી જ રહે છે એ થવાની આગાહી મહત્વની ગણાય ? ભારતીય મીડિયા વિદેશી જ્ઞાનની અંધશ્રધ્ધામાં આળોટે છે તેથી સમજને - ન્યૂઝ સેન્સને તડકે મૂકીને સમાચારો પ્રકાશિત - પ્રસારિત કરે છે.

ભૂકંપની આગાહી થઇ પરંતુ એ  કયાં આવશે કે કયારે આવશે તેની સચોટ વિગતો આગાહીકારે આપી નથી. તેના કરતા પણ મહત્વની બાબત એ  છે કે, ભૂકંપ સામે દુનિયાની કોઇ સરકાર લડી શકે તેમ નથી... ભૂકંપને લાચાર બનીને સહન કર્યે છૂટકો જ નથી...

આ સ્થિતિમાં ભૂકંપની આગાહીનો અર્થ શું ? આવી આફતો પ્રાકૃત પ્રક્રિયા છે. આધુનિક વિજ્ઞાન પ્રકૃતિ સામે બિચારા જેવું છે. ભારતીય પ્રાચીન જ્ઞાન-વિજ્ઞાન પ્રકૃતિને અનુરૂપ છે અને પ્રકૃતિને પ્રસન્ન રાખવાના પ્રયોગો પણ તેમાં છે... ભારતે ખરા અર્થમાં વિકાસ કરવો હોય તો આગળ જવાને બદલે પાછા વળવાની જરૂર છે. આધુનિક વિજ્ઞાનના સહારે સકારાત્મક મનોભાવથી ભારતના પ્રાચીન જ્ઞાનને ઉજાગર કરવામાં આવે તો -નોસ્તરાદમસ જેવી અગણ્ય વિભૂતિઓ શાસ્ત્રોમાં ધબકતી મળશે.

(1:46 am IST)