Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

તુજે મિરચી લગી તો મેં કયા કરૂ...

મહાશપથ વચ્‍ચે મનોરંજક નિવેદન : ભાંગફોડિયા તત્‍વો સામે આક્રમતા જરૂરીઃ ગુજરાતમાં વિકાસની વ્‍યાખ્‍યા સ્‍પષ્‍ટ કરો

સ્‍થિતિ અસહ્ય હોય, પણ લડવાની ત્રેવડ ન હોય ત્‍યારે વિચિત્ર માનસિકતા સર્જાતી હોય છે. ગુજરાતમાં ભાજપી સરકાર ભવ્‍ય સમારોહમાં શપથ લે, દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ મેળવે એ બધું મતદારોના આશિર્વાદથી થતું હતું. ભાજપને પાડી દેવા બે વર્ષથી ઉજાગરા કરનાર માટે આ સ્‍થિતિ અસહ્ય ગણાય એ સ્‍વભાવિક છે, પણ ટાંટિયા ટુંકા પડે ત્‍યારે વિચિત્ર માનસિકતા પ્રગટ થતી હોય છે.

અસહ્ય સ્‍થિતિમાં જીજ્ઞેશ મેવાણીએ નિવેદન કર્યું કે, ‘વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી હાર્દિક સામે ચૂંટણી જીતી બતાવે તો હું રાજકારણ છોડી દઇશ !'  આ નિવેદનમાંથી આ માનસિકતા નીતરે છે. ગુજરાતના આંદોલનકારીઓ હળવે-હળવે મનોરંજનના પાત્ર બનવા તરફ વિકાસ કરે છે.

ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવા ‘પાસ'ની બોટાદમાં બેઠક થનાર છે, જેમાં બઘડાટીની સંભાવના દર્શાવાઇ રહી છે. હાર્દિકના આંદોલનથી ખુદને અને કોંગ્રેસને લાભ થયો છે. અનામતનો પ્રશ્ન બાષ્‍પિભવન થઇ ગયો છે. પાટીદાર સમાજે મુખ્‍યપ્રધાનપદ ગુમાવવું પડયું છે. અમુક યુવાનોએ જીવ ગુમાવવા પડયા છે... હાર્દિક હવે અનામતને બદલે ભાજપને પાડી દેવાના મિશનમાં જ સક્રિય હોય તેવું ચિત્ર ઉપસે છે.

... પણ વાસ્‍તવિકતા એ છે કે, ગુજરાતમાં છઠ્ઠી વખત ભાજપી સરકાર રચાઇ ગઇ છે. શપથવિધિને ભાજપે ઐતિહાસિક બનાવી હતી. ઉત્‍સવી માહોલ સામે કદાપી વાંધો ન લઇ શકાય, રાજયમાં છઠ્ઠી વખત એક પક્ષ બહુમતી મેળવે એ સિદ્ધિ અસામાન્‍ય જ ગણાય. આશા એ છે કે- હવે ગુજરાત સરકાર કાર્યો પણ અસામાન્‍ય કરે.. મોદી બાદના ગુજરાતે વિવાદો-અંધાધુંધી-ભાંગફોડ-આગજની વગેરે જોયા છે, હવે ભાંગફોડિયા તત્‍વો સામે આક્રમકતા દાખવવી જરૂરી છે. વિકાસ અને સમૃદ્ધિનો પાયો શાંતિ છે. શાંતિ ડહોળનાર ચમરબંધીને પણ કાયદાનું ભાન કરાવવું જરૂરી છે.

ભાજપે વિકાસના જાપ જપીને મત લીધા છે. લોકસભાની ચૂંટણીમાં પણ વિકાસની જ જપમાળા ચલાવવાની છે. વિકાસનો મુદ્દો સારો છે, સકારાત્‍મક છે, પરંતુ વિકાસ આડેધડ થાય એ બાબત સારી નથી. ભાજપી સરકારોએ વિકાસની વ્‍યાખ્‍યા કરવી જરૂરી છે.

માત્ર બે-પાંચ રોડ બનાવી દેવા એ વિકાસ નથી જ. માત્ર સક્ષમ-સમૃદ્ધ લોકોની સુખાકારી વધે એ વિકાસ નથી જ... છેવાડાના દરેક લોકો સુધી સુખાકારી પહોંચે તેવું નક્કર આયોજન કરવું જરૂરી છે. ભાજપી સરકાર સામે આ સૌથી મોટો પડકાર છે. નક્કર કાર્યો કરાશે તો ચૂંટણી સમયે મત માંગવા નાટક કરવા નહિ પડે.

આગળ લખ્‍યું તેમ વિકાસનું પ્રથમ પગથિયું શાંતિ છે. ભાંગફોડિયા તત્‍વોના નિવેદનો જોતા સમજાય છે કે, આ તત્‍વો હજુ તાંડવી મૂડમાં છે. વીપરિત સંજોગોમાં પણ ભાજપને સ્‍પષ્‍ટ બહુમતી મળી છે. સીધુ તારણ એ નીકળે છે કે, ભાંગફોડિયા તત્‍વોને ગુજરાતીઓએ ફગાવી દીધા છે. સરકારે આવા તત્‍વો સામે કૂણુ વલણ રાખવાની જરૂર નથી.

આ તત્‍વો માટે સ્‍થિતિ અસહ્ય જેવી છે, પણ ટાંટિયા ટૂંકા પડે છે. આ કારણે એ તત્‍વો અંધાધુંધીના સહારે રહે તેવી સંભાવના છે. આવા તત્‍વોના નિવેદનોને લોકોએ મનોરંજન તરીકે માણવા જઇએ અને ગીત લલકારવું જોઇએ કે- ‘તુ જે મિરચી લગી તો મેં કયા કરૂ...!'

 

(1:46 am IST)