આયર્લેન્ડ સામે જે ટીમ રમેલી તે જ ટીમ ઈંગ્લેન્ડ સામે પણ પ્રથમ ટી-૨૦ મેચ રમશે
હાર્દિક જ કેપ્ટન રહેશે વિરાટ, બુમરાહ, પંતને આરામ અપાશે
નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં આયર્લેન્ડમાં રમેલી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટી-૨૦ મેચ રમશે. ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ તુરંત જ ૭ જુલાઈથી ટી-૨૦ મેચોની સિરીઝ શરૂ થશે. આવી પરીસ્થિતિમાં કોહલી, પંત અને બુમરાહને આરામ આપવામાં આવશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પસંદગી સમિતિએ ટી-૨૦ સિરીઝ પહેલા ટેસ્ટ રમી રહેલા ખેલાડીઓને ત્રણ દિવસનો રિકવરી સમય આપ્યો છે. સાઉધમ્પ્ટનમાં પ્રથમ ટી૨૦ બાદ બીજી ટી૨૦ એજબેસ્ટન ખાતે ૯ જુલાઈએ રમાશે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે આયર્લેન્ડ સામેની ટી-૨૦ શ્રેણી માટે પસંદ કરાયેલી ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી-૨૦ માટે યથાવત રાખવામાં આવશે. આ પછી, કોહલી, રોહિત (જો તેઓ ફિટ રહે તો), બુમરાહ, પંત અને જાડેજા સહિત બાકીના ભારતીય સ્ટાર્સ બીજી ટી-૨૦થી ટીમમાં પરત ફરશે.
ઇંગ્લેન્ડ સામેની ટી૨૦ શ્રેણી પહેલા, હાર્દિકની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ૧ અને ૩ જુલાઈએ ડર્બીશાયર અને નોર્થમ્પટનશાયર સામે બે ટી૨૦ પ્રેક્ટિસ મેચ રમશે. આવી સ્થિતિમાં કોચ વીવીએસ લક્ષ્મણ પણ ઈંગ્લેન્ડમાં ટીમ સાથે રહી શકે છે, કારણ કે રાહુલ દ્રવિડ ટેસ્ટ ટીમ સાથે હાજર રહેશે.