અભિમન્યુ ઇશ્વરનનું દર્દ છલક્યું : કહ્યું , ‘2014 થી હું IPL ઓક્શન માટે નામ મોકલું છું : કોઈએ બોલી નથી લગાવી
તેણે કહ્યું આ વર્ષે મારો નવમો પ્રયાસ છે. શા માટે હું વારંવાર મારું નામ હરાજી માટે મોકલું છું? કારણ કે મને વિશ્વાસ છે કે હું ટી20 ખેલાડી તરીકે પૂરતો સારો છું
મુંબઈ : ક્રિકેટર અભિમન્યુ ઇશ્વરનને તાજેતરના ભૂતકાળમાં ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જોકે,તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી. બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા અભિમન્યુ ઇશ્વરને 2021માં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. ત્યારબાદ તે વર્ષના અંતમાં ન્યુઝીલેન્ડ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો પણ ભાગ હતો. સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરનાર આ ખેલાડીએ હવે IPLમાં રમવાની સંભાવના અને હરાજી દરમિયાન કોઈ ટીમે રસ ન દાખવવાના મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ વાતચીતમાં અભિમન્યુ ઇશ્વરને IPLમાં રમવા વિશે કહ્યું, ‘2014 થી હું IPL ઓક્શન માટે મારું નામ મોકલી રહ્યો છું પરંતુ ક્યારેય કોઈએ બોલી નથી લગાવી. આ વર્ષે મારો નવમો પ્રયાસ છે. શા માટે હું વારંવાર મારું નામ હરાજી માટે મોકલું છું? કારણ કે મને વિશ્વાસ છે કે હું ટી20 ખેલાડી તરીકે પૂરતો સારો છું અને મારા આંકડા તેને સમર્થન આપે છે. જો હું ફરીથી વેચાયો નહીં રહીશ, તો તે મારા પર નિર્ભર છે કે હું મારી જાત પર વિશ્વાસ કરું પરંતુ તેના માટે સ્થાનિક ક્રિકેટની જરૂર પડશે.
છેલ્લા બે વર્ષમાં ભારતીય સ્થાનિક ક્રિકેટ પર કોરોનાની ખરાબ અસર પડી છે. ગયા વર્ષે રણજી ટ્રોફી યોજાઈ શકી ન હતી. આ વર્ષે પણ તેની શરૂઆત ફેબ્રુઆરીથી થશે. આ અંગે ઈશ્વરને કહ્યું કે કોરોના મહામારીને કારણે બધું બદલાઈ ગયું. તે 26 વર્ષનો છે અને ઘરેલુ ક્રિકેટની ગેરહાજરીને કારણે ભવિષ્ય અસ્પષ્ટ હતું. દેશના અનેક સેંકડો ખેલાડીઓની આવી હાલત હતી.
છેલ્લી બે રણજી સિઝનમાં અભિમન્યુ ઇશ્વરનનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. આ 16 મેચોમાં તેણે 46.62ની એવરેજથી 1119 રન બનાવ્યા છે. આ પ્રદર્શનના આધારે તેને ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયામાં પસંદગી અંગે તેણે કહ્યું, ‘ગયા વર્ષે 30 મેના રોજ મને ભારતીય ટેસ્ટ ટીમની જર્સી મળી હતી, જ્યારે હું મુંબઈમાં ક્વોરેન્ટાઈનમાં હતો. મેં તે જર્સી લંચ સમયે પહેરી હતી અને ડિનર સમયે ઉતારી હતી. હું ભારત માટે રમવાની રેસમાં હોવાનો અનુભવ કરવા માંગતો હતો.