રોહિતના પિતાની તબીયત ખરાબ હોય ઓસ્ટ્રેલીયાના પ્રવાસે ગયો ન હતોઃ જય શાહ
ક્રિકેટ બોર્ડે કરી સ્પષ્ટતા, ૧૧ ડિસેમ્બરે થશે તેની ફિટનેસ ટેસ્ટ, ઈશાન્ત શર્મા ટેસ્ટ ટૂરમાંથી આઉટ
સિડનીઃ રોહિત શર્મા વિશે સ્પષ્ટતા કરતાં ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે કહ્યું કે આઈપીએલ પછી રોહિત શર્મા તેના પિતા બીમાર હોવાથી મુંબઈ આવ્યો હતો. જો કે તેમની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે જેને કારણે તે રીહેબિલિટેશન માટે નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ) જઈ શકયો હતો. હાલમાં રોહિત બેન્ગલોરના એનસીએમાં રીહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહયો છે. તેની આગામી ફિટનેસ-ટેસ્ટ ૧૧મી ડિસેમ્બરે લેવામાં આવશે અને ત્યાર બાદ જ ભારતીય ક્રિકેટ બોર્ડ સ્પષ્ટતા કરશે કે રોહિત શર્મા બોર્ડર- ગાવસકર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે કે નહીં.
૧૪ દિવસના હાર્ડ કવોરન્ટીન નિયમને લીધે રોહિત શર્મા શરૂઆતની બે ટેસ્ટ મેચ ગુમાવી શકે છે. આ ઉપરાંત જો રોહિત શર્માને ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા જવાનો વારો આવે તો ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એકિઝકયુટિવ ઓફિસર નિક હોકલીને રોઞિતને ૧૪ દિવસના સોફટ કવોરન્ટીન પિરિયડમાં મોકલવા માટે વિનંતી કરશે, જેથી રોહિત આઈસોલેશન દરમ્યાન પણ પ્રેકિટસ કરી શકે.જયારે ઈશાન્ત શર્મા આઈપીએલ દરમ્યાન થયેલી ઈજામાંથી બહાર આવી ગયો છે, પણ તેને ટેસ્ટ મેચ માટે પોતાનો લક્ષ મેળવતાં સમય લાગી શકે છે જેને કારણે તેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાંથી બહાર થવાનો વારો આવ્યો છે