ત્રીજી ટેસ્ટમાં રહાણેની થશે એન્ટ્રી
નવી દિલ્હી:દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચમાં પરાજય બાદ ભારતીય ટીમ બુધવારથી શરૃ થતી ત્રીજી ટેસ્ટની તૈયારીઓ શરૃ કરી છે. ત્યારે પ્રેક્ટીસ સેશનના પ્રથમ દિવસે જ ટીમ મેનેજમેન્ટે ત્રીજી ટેસ્ટમાં અજિક્ય રહાણેની વાપસીના સંકેત આપી દીધા છે.
સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચમાં અજિક્ય રહાણેને અંતિમ ૧૧માંથી બહાર રાખવાના ટીમ મેનેજમેન્ટના નિર્ણય સામે અનેક સવાલો ઉઠી રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયમાં વિદેશી ધરતી પર ભારતના શ્રેષ્ઠ બેસ્ટમેન સાબિત થયેલ અજિક્ય રાહણેને કેપટાઉન અને સેન્ચુરિયન ટેસ્ટમાં પસંદ ન કરીને ટીમ મેનેજમેન્ટ વન-ડે સ્પેશ્યાલિસ્ટ રોહિત શર્માને તક આપી હતી. જો કે રોહિત ટીમ મેનેજમેન્ટની આશાઓ પર ખરો ઉતરી શક્યો નથી. છેલ્લી બે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરો સામે ભારતીય બેસ્ટમેનો રીતસરના લાચર નજરે પડી રહ્યા છે. ત્યારે જોહાનિસબર્ગમાં ટીમના અભ્યાસ સત્રમાં રાહણે ઉપર ખાસ ભાર આપવામાં આવી રહ્યો હતો. તેના પરથી એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આગામી ટેસ્ટમાં રાહણેને અંતિમ ૧૧માં તક આપવામાં આવી શકે છે.