રોહિત ટેસ્ટમાં નથી બેસ્ટ
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સે કહ્યું... : કાંગારૂ દિગ્ગજના મતે વન-ડે અને ટી-૨૦માં શાનદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીની ડીફેન્સીવ ટેકનીક નબળી છે, વળી ટેસ્ટ મેચમાં ૭૦ ટકા ડિફેન્સીવ રમવાનું હોય છે
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન ડીન જોન્સના મતે ભારતીય ક્રિકેટર રોહિત શર્મા પાસે ઘણી પ્રતિભા છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેની ડીફેન્સ ટેકનીક નબળી છે, જેને કારણે ટેસ્ટ ક્રિકેટમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યુ છે. વિરાટ કોહલીને બાદ કરતા કોઈપણ ભારતીય બેટ્સમેન વર્તમાન સિરીઝની બે ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરોનો સામનો નહોતા કરી શકયા. સાઉથ આફ્રિકામાં સતત બે ટેસ્ટ હારવાની સાથે ભારતે સિરીઝ પણ ગુમાવી દીધી છે.
વન-ડે મેચોમાં પણ ત્રણ ડબલ સેન્ચ્યુરી અને આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં સૌથી ઝડપી સદીનો ભારતીય રેકોર્ડ બનાવનાર રોહિતને તેના વર્તમાન ફોર્મને જોતા ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે ૪ ઈનિંગ્સમાં ૧૯.૫૦ની એવરેજથી માત્ર ૭૮ રન બનાવ્યા તેમજ પોતાની પસંદગીને યોગ્ય સાબિત ન કરી શકયો.
એક ઈન્ટરવ્યુમાં જોન્સે કહ્યુ હતું કે મેં તેને રમતા જોયો છે. તે ટેકનીકલી મજબૂત છે, પરંતુ તેની નબળી ડિફેન્સિવ ટેકનીક તેને પાછળ પાડે છે. ટેસ્ટ ક્રિકેટમાં ૭૦ ટકા બેટીંગ તમારી ડીફેન્સ છે જયારે વન-ડેમાં આ ટકાવારી ૪૦ ટકા છે. તેને સુનિલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ, સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલીની જેમ પોતાના ડીફેન્સ પર ભરોસો હોવો જોઈએ.(૩૭.૫)