જે ઝડપી સ્પિન કરી શકે તેવા બોલરની જરૂર હતી, જેથી રાહુલ ચહરની પસંદગી કરી
ચહલનું સિલેકશન કેમ ન થયું સિલેકટર ચેતન શર્માએ સ્પષ્ટતા કરી : યજુવેન્દ્ર ચહલની પોસ્ટમાં દર્દ છલકાયું, કહ્યું આ સમય પસાર થઇ જશે
નવી દિલ્હીઃ યજુવેન્દ્ર ચહલને ટી ૨૦ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. ચહલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ તેની પત્ની ધનશ્રીએ પોતાની પીડા વ્યકત કરી હતી. ટીમની પસંદગી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ સમય પણ પસાર થશે.
ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર ૫ોસ્ટ શેર કરી કહયું કે માતા કહે છે કે આ સમય પણ પસાર થવાનો છે. તમારું માથું ઉંચું કરો અને જીવો કારણ કે કુશળતા અને સારા કાર્યો હંમેશા તમારી સાથે રહે છે. આ સમય પણ પસાર થવાનો છે. ભગવાન હંમેશા મહાન છે.
ચહલ ટી-૨૦ માં ભારતનો અગ્રણી વિકેટ લેનાર રહ્યો છે. તેેણે ૪૯ મેચમાં ૨૫.૩૦ ની સરેરાશ અને ૮.૩૨ ની ઇકોનોમી રેટ પર ૬૩ વિકેટ લીધી છે.
ભારતે રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ અને રાહુલ ચાહરમાં પાંચ સ્પિન વિકલ્પો પસંદ કર્યા. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર લોકો ચહલના ટી ૨૦ વર્લ્ડ કપ માટે ટીમમાંથી બાકાત થવાથી ચોંકી ગયા છે. જોકે, યુઝવેન્દ્ર ચહલે તેમની પસંદગી ન થવા પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
જોકે,બીસીસીઆઇએ ચહલની હકાલપટ્ટી અંગે સ્પષ્ટતા આપતા ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર અને પસંદગી પેનલના અધ્યક્ષ ચેતન શર્માએ કહ્યું કે, ૅતેમને એક સ્પિનરની જરૂર છે જે ઝડપી સ્પિન કરી શકે. આથી જ રાહુલ ચહરને ચહલ પર પ્રાથમિકતા મળી હતી. ચહલ હવે યુએઇ માં આઇપીએલ ૨૦૨૧ના બીજા ચરણમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા જોવા મળશે. જો ચહલ આઈપીએલમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહે તો ૧૦ ઓકટોબર સુધી તેની પાસે ટીમમાં સ્થાન બનાવવાની તક છે.