Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્‍ટઃ ચેન્‍નઇથી 8 ટીમોના પોઇન્‍ટ ટેબલના અંતિમ સ્‍થાનમાં: હવે પ્રતિષ્‍ઠા ખાતર મેદાનમાં ઉતરશે

દુબઈઃ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ચુકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા બાકી ટીમોના સમીકરણ બગાડવાનો પ્રયાસ કરશે. તેનું પ્રથમ નિશાન જીત માટે આતુર બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનની માલિકીવાળી ટીમ કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) હશે જેની વિરુદ્ધ તેણે અહીં મેચ રમવાની છે. કેકેઆરના 12 મેચોમાં 12 પોઈન્ટ છે અને તેણે પ્લેઓફમાં જગ્યા સુરક્ષિત કરવા આગામી બંન્ને મેચ જીતવી પડશે. ચેન્નઈની આઠ ટીમોના પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર છે અને તેની ટીમ હવે પ્રતિષ્ઠા ખાતર મેદાન પર ઉતરશે.

ટૂર્નામેન્ટના આ સમયમાં કેટલીક ટીમોની હાર-જીતથી અન્ય ટીમો 14 કે 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે અને તેવામાં સારી નેટ રનરેટથી પ્લેઓફના સ્થાન નક્કી થશે. તેને ધ્યાનમાં રાખતા કેકેઆરે મોટા અંતરથી જીત મેળવવી જરૂરી છે. કેકેઆર માટે ચેન્નઈ વિરુદ્ધ આ કામ સરળ નથી. ચેન્નઈએ પોતાની પાછલી મેચમાં બેંગલોરને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. કેકેઆરનો બેટિંગ વિભાગ કેપ્ટન મોર્ગન માટે ચિંતાનો વિષય છે અને તેને આશા હશે કે હવે જ્યારે ટીમને વધુ જરૂર છે ત્યારે પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિક પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહેશે.

નીતીશ રાણાનું પ્રદર્શન ચઢાવ-ઉતાર વાળુ રહ્યું છે. તેના બાકી બેટ્સમેનોના પ્રદર્શનમાં સાતત્યતાનો અભાવ છે. બોલરોએ કેકેઆર તરફથી અત્યાર સુધી સારી ભૂમિકા ભજવી છે. તમિલનાડુના રહસ્યમયી સ્પિનર વરૂણ ચક્રવર્તી પ્રભાવશાળી રહ્યો છે અને પોતાના સારા પ્રદર્શનના દમ પર તેને ભારતીય ટી20 ટીમમાં સ્થાન મળ્યું છે. કેકેઆરના બેટ્સમેનોએ ચેન્નઈને મોટો સ્કોર બનાવવાથી રોકવું પડશે. ચેન્નઈના બેટ્સમેનોએ પણ દરેક મેચમાં સારૂ પ્રદર્શન કર્યું નથી પરંતુ જો તેનો દિવસ હશે તો તે મોટી ઈનિંગ રમી શકે છે.

પ્રથમવાર પ્લેઓફની દોડથી બહાર થનારી ચેન્નઈની સામે કોલકત્તાના બેટ્સમેનએ વિવિધતાપૂર્ણ આક્રમણના પડકારને પાર કરવો પડશે. મિશેલ સેન્ટનરને અંતિમ ઇલેવનમાં સામેલ કરવાથી ચેન્નઈની બોલિંગને મજબૂતી મળી છે. આરસીબી સામે જીત બાદ ચેન્નઈનું મનોબળ પણ ઉંચુ હશે. યુવા રુતુરાજ ગાયકવાડે પાછલી મેચમાં અડધી સદી ફટકારી ટીમને જીત અપાવી હશે. તો અન્ય બેટ્સમેનો પણ મોટી ઈનિંગ રમવા પર ધ્યાન આપશે.

(4:44 pm IST)