Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ઈંગ્લેન્ડ ટીમ ચેન્નાઈ પહોંચવા સાથે છ દિ'ના ક્વોરેન્ટાઈનમાં

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટની શ્રેણી યોજાશે : ભારતના ખેલાડી ચેન્નાઈ પહોંચ્યા, પાંચમીથી પ્રથમ ટેસ્ટ

ચેન્નઇ, તા. ૨૭ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ચાર ટેસ્ટ મેચની સીરિઝ માટે આજે સવારે ઇંગ્લેન્ડની ટીમ ચેન્નઇ એરપોર્ટ પર આવી પહોંચી હતી. જ્યારે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અને સપોર્ટીંગ સ્ટાફ પણ અહીં પહોંચી ચૂક્યો છે. રૂટ અને તેની ટીમ શ્રીલંકાથી સવારે ૧૦.૩૦ કલાકે ચેન્નઇ આવી પહોંચી હતી. એરપોર્ટથી તેઓ સીધા હોટલ પહોંચ્યા હતા. જ્યાં બાયો બબલ બનાવવામાં આવ્યું છે. બીજી બાજુ, ભારતના સ્ટાર બેસ્ટમેન રોહિત શર્મા અને ઉપકેપ્ટન અજિંક્ય રહાણે ગઇકાલે રાતે જ અહીં પહોંચી ગયા હતા. જ્યારે ચેતેશ્વર પૂજારા, જસપ્રીત બુમરાહ અને ઋષભ પંત આજે સવારે પહોંચ્યા હતા. ઉપરાંત ટીમના કોચ રવિ શાસ્ત્રી મુંબઇથી અહીં પહોંચ્યા છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી બુધવારે સાંજે અહીં આવી પહોંચશે. બન્ને ટીમો હોટલ લીલા પેલેસમાં રોકાઇ છે. જ્યાં બાયો બબલ બનાવવામાં આવ્યું છે.

અહીં ટીમ છ દિવસ સુધી ક્વોરન્ટાઇન રહ્યાં બાદ પ્રેક્ટિસ શરૂ કરશે. ઉપરાંત તમામના કોરોના ટેસ્ટ પણ કરાશે. જ્યારે પ્રથમ ટેસ્ટ પાંચ ફેબ્રુઆરી અને બીજી ટેસ્ટ ૧૩ ફેબ્રુઆરીથી રમાશે.

(7:46 pm IST)