Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

આજે આઇપીએલ ક્રિકેટ મેચનો 40મો મુકાબલો રાજસ્‍થાન રોયલ્‍સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્‍ચેઃ બંને ટીમો માટે આ મેચ ‘કરો યા મરો' સાબિત થશે

દુબઈઃ આઈપીએલ 13  (IPL 2020)નો 40મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ગુરૂવારે રમાશે. બંન્ને ટીમો માટે આ મેચ કરો યા મરો સાબિત થવાની છે. હવે જેટલા પણ મુકાબલા થઈ રહ્યાં છે તે પ્લેઓફ ની દોડ માટે છે તેથી હવે લડાઈ વધુ મુશ્કેલ બની ગઈ છે.

યુવા ખેલાડીઓએ લેવી પડશે જવાબદારી

સનરાઇઝર્સના પ્રિયમ ગર્ગ અને અબ્દુલ સમદ હોય કે રોયલ્સના કાર્તિક ત્યાગી, રિયાન, બંન્ને ટીમોના યુવા ખેલાડીઓ પર સીનિયર ખેલાડીઓની આશા પ્રમાણે પ્રદર્શન ન કરવાને કારણે વધારાનો દબાવ છે. સનરાઇઝર્સ આઠ ટીમોના પોઈન્ટ ટેબલમાં નીચેથી બીજા સ્થાન પર છે અને ટીમોના 9 મેચમાં માત્ર 6 પોઈન્ટ છે.

સનરાઇઝર્સે જીતવી પડશે બધી મેચ

પાછલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ જીત બાદ રોલ્સની ટીમ એક સ્થાન આગળ છે અને તેના આઠ પોઈન્ટ છે. સનરાઇઝર્સની ટીમે પ્લેઓફની આશા જીવંત રાખવા માટે પોતાની બાકી બચેલી પાંચેય મેચ જીતવી પડશે જ્યારે રોયલ્સની ટીમ જીતની લય જાળવી રાખવા ઈચ્છશે અને ટીમ આશા કરી રહી હશે કે સુપર કિંગ્સ વિરુદ્ધ પાછલી મેચની જેમ તેના વિદેશી ખેલાડી સારૂ પ્રદર્શન કરશે.

રોયલ્સે બે હાર બાદ કરી વાપસી

આઈપીએલ પોતાના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે અને તેવામાં બંન્ને ટીમોની રાહ આસાન રહેશે નહીં. બંન્ને ટીમોને ખ્યાલ છે કે હવે ભૂલ કરવાની સ્થિતિમાં નથી. રોયલ્સે બે મોટી હાર બાદ વાપસી કરી અને હૈદરાબાદ વિરુદ્ધ જીતની દાવેદાર હશે જેણે પોતાની પાછલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોફ્રા આર્ચર રોયલ્સના બોલિંગ આક્રમણની આગેવાની કરી રહ્યો છે જ્યારે ગોપાલ અને રાહુલ તેવતિયાની સ્પિન જોડીએ સુપરકિંગ્સ વિરુદ્ધ વચ્ચેની ઓવરોમાં શાનદાર પ્રદર્શન કર્યું અને કેપ્ટન સ્મિથને ગુરૂવારે પોતાના બોલરો પાસે સારા પ્રદર્શનની આશા હશે.

જોસ બટલર અને બેન સ્ટોક્સ પાસે ઘણી આશા

સુપરકિંગ્સ વિરુદ્ધ જોસ બટલરે બેટ્થી શાનદાર પ્રદર્શન કર્યું જેથી સ્મિથ કોઈ દબાવ વગર રમી શક્યો પરંતુ રોયલ્સને ભાગીદારીની જરૂર પડશે. ઓલરાઉન્ડર સ્ટોક્સ આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી જ્યારે રોબિન ઉથપ્પા ટીમની સૌથી નબળી કડી સાબિત થઈ રહ્યો છે. તેવામાં સ્મિથ પંજાબના મનન વોહરાને તક આપવાનો વિચાર કરી શકે છે. સંજૂ સેમસનનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે જેણે સતત બે અડધી સદી સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી.

સુપર ઓવરમાં મળી હાર

બીજીતરફ તે જોવાનું રહેશે કે સનરાઇઝર્સની ટીમને રવિવારે કોલકત્તા વિરુદ્ધ સુપર ઓવરમાં હાર મળી હતી ટીમ તેમાંથી બહાર આવી શકી છે કે નહીં. ડેવિડ વોર્નરની ટીમ ચોક્કસપણે આ હારથી દુખી હશે પરંતુ ટીમ તેમાંથી બહાર આવીને ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે પોતાની રણનીતિમાં ફેરફાર કરવો પડશે.

હૈદરાબાદ માટે ઈજા મોટી સમસ્યા

ઈજાને કારણે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને ઓલરાઉન્ડર મિશેલ માર્શ બહાર થવાથી સનરાઇઝર્સની ટીમ અસમંજસની સ્થિતિમાં છે કે પોતાની બેટિંગ મજબૂત કરે કે બોલિંગ. ટીમ પોતાના બેટ્સમેનો પર ખુબ નિર્ભર છે, વિશેષ કરીને ટોપ ચાર બેટ્સમેનો પર જેમાં જોની બેયરસ્ટો, વોર્નર, મનીષ પાંડે અને કેન વિલિયમસન સામેલ છે. કેપ્ટન વોર્નરને આશા હશે કે બેટ્સમેન અને બોલર બંન્ને સારૂ પ્રદર્શન કરશે જેથી ટીમ ટૂર્નામેન્ટમાં ટકી રહે.

(5:35 pm IST)